મુંબઇ, 3 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014 માટે મતદાનના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ અટકળોનો દોર વધી રહ્યો છે. આ અટકળોમાં કોઇની જીત તો કોઇની હાર માટે માટેની ચર્ચા અને સ્વીકાર થઇ રહ્યો છે. આ ટ્રેન્જમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પણ જોડાયા છે. તેમણે કહ્યું છે કે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે.
આમ તો શરદ પવારના બોલ મોસમની જેમ અવારનવાર બદલાતા રહે છે. આ વખતે પલટી મારીને શરદ પવારે ભાજપ તરફી નિવેદન આપ્યું છે. કાલ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ટીકા કરનારા શરદ પવારે હવે તેમના વિજયની આશા વ્યક્ત કરી છે. શરદ પવારે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી 2014 બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. જો કે એનડીએ સરકાર બનાવવા માટે જરૂરી આંકડા સુધી પહોંચી શકશે નહીં. આ સાથે તેમણે એનસીપીની બેઠકો વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
ચૂંટણી પ્રચાર માટેની એક રેલીને સંબોધિત કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પવારે જણાવ્યું કે વર્તમાન સમયમાં ભાજપ પોતાનો જુનો રેકોર્ડ સુધારવામાં લાગેલી જણાય છે. તેમણે જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ મોટી પાર્ટીઓ બનીને આગળ આવશે. તેમણે જણાવ્યું કે ભાજપની સ્થિતિ સુધરતી લાગી રહી છે. પણ શક્ય છે કે તે જાદુઇ આંકડા સુધી પહોંચી શકશે નહીં.
જો કે તેમણે નરેન્દ્ર મોદી અંગે જણાવ્યું કે એનડીએની સરકાર બની તે સમયે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું કદ મોદી કરતા અનેકગણું વધારે હતું. તેમના શાસનમાં લઘુમતી કોમ પોતાને સુરક્ષિત અનુભવતી હતી.
નરેન્દ્ર મોદીની મીડિયા કવરેજ અંગે બોલતા શરદ પવારે જણાવ્યું કે મેં ટીવી ચેનલો પર કોઇ એક વ્યક્તિને આટલું બધુ કવરેજ આપતા ક્યારેય નથી જોયા. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેના નિવેદન અંગે તેમણે જણાવ્યું કે મને ઉદ્ધવ પર દયા આવે છે. કારણ કે શિવસેના તેમના પિતાએ બનાવી હતી. તેમને બધું થાળીમાં સજાવીને મળી ગયું છે.