સ્મૃતિ ઈરાનીને લઘુમતી, જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો
કેન્દ્ર સરકારની કેબિનેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારની કેબિનેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહના રાજીનામા બાદ બંનેના મંત્રાલયનો વધારાનો હવાલો કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સિંધિયાને આપવામાં આવ્યો છે. બુધવારે મોડી સાંજે તેની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલય અને સ્મૃતિ ઈરાનીને લઘુમતી બાબતોના મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મુખ્તાર અબ્બાસ નકવી અને કેબિનેટ મંત્રી આરસીપી સિંહે બુધવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. બંનેનો રાજ્યસભાનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. મુખ્તાર અબ્બાસ નકવીએ લઘુમતી બાબતોનુ મંત્રાલય સંભાળ્યુ હતુ જ્યારે આરસીપી સિંહે સ્ટીલ મંત્રાલય સંભાળ્યુ હતુ. તમને જણાવી દઈએ કે આરસીપી સિંહ જેડીયુના રાજ્યસભા સાંસદ છે પરંતુ આ વખતે નીતિશ કુમારે તેમને રાજ્યસભાની ટિકિટ આપી નથી.
સ્મૃતિ ઈરાની પાસે પહેલેથી જ બાળ વિકાસ મંત્રાલય છે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા નાગરિક ઉડ્ડયન મંત્રી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી એ ચર્ચા જોરમાં છે કે આરસીપી સિંહ ભાજપમાં જોડાઈ શકે છે. જ્યારે મુખ્તાર અબ્બાસ નકવીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.