કલકત્તા હાઈકોર્ટે બીરભૂમની ઘટનાનું સંજ્ઞાન લીધું, ચીફ જસ્ટિસની બેન્ચ સુનાવણી કરશે!
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં મંગળવારે TMC નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન એક ડઝન ઘરોમાં આગ લાગી હતી, જેના કારણે 8 લોકોના મોત થયા હતા.
નવી દિલ્હી, 23 માર્ચ : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં મંગળવારે TMC નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન એક ડઝન ઘરોમાં આગ લાગી હતી, જેના કારણે 8 લોકોના મોત થયા હતા. મામલાની ગંભીરતા જોઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એસઆઈટીની રચના કરી, પરંતુ વિપક્ષ સતત હમલાવર છે. હવે કલકત્તા હાઈકોર્ટે પણ આ ઘટના અંગે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે, જેના પર મુખ્ય ન્યાયાધીશની બેંચ આજે બપોરે 2 વાગ્યે સુનાવણી કરશે.
બીજી તરફ વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોની એક ટીમ આજે બપોરે બીરભૂમના રામપુરહાટની મુલાકાત લેશે, જ્યાં હત્યાકાંડ થયો હતો. તેમની સાથે બીજેપી સાંસદ અર્જુન સિંહ, જ્યોતિર્મય સિંહ મહતો પણ આવશે. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા બીજેપી સાંસદ દિલીપ ઘોષે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આવી ઘટના બની તે માટે અમે શરમ અનુભવીએ છીએ. નિર્દોષો અને બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. જેના કારણે લોકો ગામ છોડીને જતા રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં અત્યાર સુધીમાં 200થી વધુ ભાજપના કાર્યકરો માર્યા ગયા છે.
આ મામલે રાજ્યપાલ ધનખરે કહ્યું કે આ એક ભયાનક ઘટના છે. રામપુરહાટ, બીરભૂમની ઘટના દર્શાવે છે કે રાજ્ય હિંસા અને અરાજકતાની પકડમાં છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા. રાજ્યપાલે વધુમાં કહ્યું કે મેં તાત્કાલિક મુખ્ય સચિવ પાસેથી આ ઘટના અંગે અપડેટ માંગી છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાદુ શેખ બારોસલની ગ્રામ પંચાયતના નાયબ વડા હતા. હાઈવે પર તેની એક દુકાન પણ હતી, જ્યાં બે દિવસ પહેલા તેના પર હુમલો થયો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ પછી તેમના સમર્થકોનો ગુસ્સો ભડકી ગયો અને તેમણે બગુટી ગામમાં ઘણા ઘરોને આગ ચાંપી દીધી. શેખ પર આ ગામના લોકોએ હુમલો કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.