ભારતની બોર્ડર ક્રોસ કરવાનો ચાર્જ માત્ર 600 રૂપિયા
નવી દિલ્હી, 5 ઓગસ્ટ : રાજધાની દિલ્હીમાં લાખો બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહ્યા છે. આ બાંગ્લાદેશી નાગરિકોમાં ગુનેગારોની સંખ્યા ઘણી મોટી છે. નિયમ મુજબ બાંગ્લાદેશથી ભારત આવવા પાસપોર્ટ અને વિઝાની જરૂર હોય છે. આ લોકો બોર્ડર પર સક્રિય દલાલોની મદદથી પાસપોર્ટ અને વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશે છે. ઘટનાને અંજામ આપીને પાછા ફરતી વખતે બાંગ્લાદેશી ગુનાખોરો આ જ દલાલોની મદદ લેતા હોય છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતથી પાછા ફરતી વખતે બનગાંવથી બોર્ડર પાર કરે છે. બાંગ્લાદેશની સીમા સાથે જોડાયેલું ભારતનું આ છેલ્લું શહેર છે. બોર્ડર પર 35થી 40 દલાલ સક્રિય છે. તેમાંથી અડધા દલાલ ભારત અને બાકીના બાંગ્લાદેશી નાગરિક છે. દલાલોનું મુખ્ય કામ પોતાના ગ્રાહકને સુરક્ષિત રીતે બોર્ડર ક્રોસ કરાવવાનું છે. દલાલ એક વખતમાં 30થી 40 લોકોને બોર્ડર પાર કરાવે છે અને પ્રત્યેક વ્યક્તિ પાસેથીરૂપિયા 600થી રૂપિયા 700 વસૂલવામાં આવે છે.
બોર્ડર પાર કરનાર લોકોએ દલાલને પહેલાં જણાવવાનું હોય છે કે તેઓ લૂંટનો કેટલો માલ પોતાની સાથે લઇને જઇ રહ્યા છે. કોઇ બદમાશ ચાલાકી બતાવે તો બોર્ડર પર જ તેમનો બધો માલ છીનવી લેવાય છે. કેટલાક વૃદ્ધ થઇ ચૂકેલા બાંગ્લાદેશી બદમાશો પણ બોર્ડર પાર કરાવવાના ધંધામાં સામેલ છે.
આ અંગે એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોતાના જમાનામાં આતંકનો પર્યાય રહેલો હારુલ હવે એ ઘટનાઓમાં સક્રિય નથી, પરંતુ બદમાશોને બોર્ડર પાર કરાવવામાં અને ગેંગ બનાવવામાં તેમની પૂરી મદદ કરે છે. તે આવા બદમાશોનો કેસ લડવાનું અને તેમના જામીન કરાવવાનું કામ પણ કરે છે. જે બદમાશો તેની વાત માનતા ન હોય તેમને પોલીસને પકડાવી દે છે. ભારતથી લૂંટેલા માલની સાથે જ્યારે બદમાશ પરત પોતાના દેશ પહોંચે છે ત્યારે તેને દલાલની પસંદગી કરવામાં પણ બહુ સાવધાની રાખવી પડે છે, કેમ કે કેટલાક દલાલો પોલીસ માટે પણ કામ કરતા હોય છે.
લૂંટનો વધારે માલ હોય તેવા બદમાશોને 24 પરગણાના બનગાંવથી બોર્ડર પાર કરાવવાને બદલે બીજા રસ્તેથી બોર્ડર પાર કરાવાય છે. આ રસ્તામાં બીએસએફનું પેટ્રોલિંગ નહીંવત્ હોય છે. દલાલ મોટરસાઇકલથી બોર્ડર પાર કરાવવાના રૂપિયા 200 વધારે લેતા હોય છે. પારંપરિક રસ્તાઓની સરખામણીમાં આ રસ્તો થોડોક લાંબો હોય છે, પરંતુ અહીં લૂંટાઇ જવાનો અને પકડાઇ જવાનો ખતરો ખૂબ જ ઓછો હોય છે.
ઇન્ડિયન બોર્ડરથી બાંગ્લાદેશ બોર્ડર પાર કરાવવાનું કામ રાત્રે 9 વાગ્યે શરૂ થાય છે અને સવારે 4 વાગ્યા સુધી કોઇ પણ સંજોગોમાં બોર્ડર ક્રોસ કરવી પડે છે. દલાલ બોર્ડર પાર કરનાર વ્યક્તિને દોડતા દોડતા લઇને આવે છે. બીમાર અને શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ બોર્ડ પાર કરી શકતી નથી કારણ કે આ બોર્ડર ક્રોસ કરવામાં ઓછામાં ઓછો ચારથી પાંચ કલાકનો સમય લાગે છે.