પંજાબમાં BSFનું કાર્યક્ષેત્ર વધારવા પર CM ચન્નીએ કર્યો વિરોધ, અમિત શાહને નિર્યણ બદલવા કરી માગ
બુધવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ત્રણ રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં સીમા સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રમાં વધારો કર્યો છે. આ રાજ્યોમાં બીએસએફનું કાર્યક્ષેત્ર 15 કિમીથી વધારીને 50 કિમી કરવામાં આવ્યું છે.
ચંદીગઢ : પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. પંજાબમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના અધિકાર ક્ષેત્રને વધારવા પર હવે વિવાદ છંછેડાયો છે. બુધવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ત્રણ રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં સીમા સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રમાં વધારો કર્યો છે.
આ રાજ્યોમાં બીએસએફનું કાર્યક્ષેત્ર 15 કિમીથી વધારીને 50 કિમી કરવામાં આવ્યું છે. તેમના અધિકારક્ષેત્રમાં બીએસએફ અધિકારીઓને પોલીસમાં તેમના સમકક્ષો તરીકે ધરપકડ, શોધ અને જપ્તીની સમાન સત્તા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ બુધવારના રોજ ટ્વિટર પર સીમા સુરક્ષા દળના અધિકાર ક્ષેત્ર વધારવાના કેન્દ્રના નિર્ણયની નિંદા કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ કેન્દ્ર સરકારના આ પગલાને "સંઘવાદ પર સીધો હુમલો" ગણાવ્યો છે. મુખ્યમંત્રી ચન્નીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરી છે.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ટ્વિટ કર્યું હતું કે, હું ભારત સરકારના આંતરરાષ્ટ્રીય સરહદો સાથે 50 કિલોમીટરના દાયરામાં બીએસએફને વધારાની સત્તા આપવાના એકપક્ષીય નિર્ણયની સખત નિંદા કરું છું, જે સીધો સંઘવાદ પર હુમલો છે. હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ અતાર્કિક નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવા વિનંતી કરું છું.
આ સમગ્ર મામલે પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને સંઘવાદની ભાવનાને નબળી કરવા ઉપરાંત, ભારત સરકાર માટે હાલની વ્યવસ્થામાં એકતરફી ફેરફાર કરવા માટે કોઈ વ્યાજબી કારણ નથી.
સુખજિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોની સલાહ લીધા વગર અને વાત કર્યા વગર અથવા તેમની સંમતિ મેળવ્યા વગર BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) ના અધિકારીઓને પોલીસ અધિકારીઓની સત્તા આપીને, કેન્દ્ર બંધારણના સંઘીય માળખાને વિકૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.