પાટણમાં મંત્રી અરવિંદ રૈયાણીની અધ્યક્ષતામાં વંદે ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ
વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં રૂ. ૨૧.૮૯ કરોડના ૪૩૨ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ.૧૨.૧૬ કરોડના ૫૭૭ કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે.
વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં રૂ. ૨૧.૮૯ કરોડના ૪૩૨ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ.૧૨.૧૬ કરોડના ૫૭૭ કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે. રાજ્યના પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ થશે. પાટણના એ.પી.એમ.સી. ખેડૂત ભવન હોલ ખાતેથી વંદે ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ થશે. પાટણ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.૫ થી ૧૯ જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસનો રથ લોકકલ્યાણ માટે ફરશે.
ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં '’આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ દિવસ માટે આયોજીત વંદે ગુજરાતની વિકાસ યાત્રા દરમિયાન ગુજરાત સરકારના ૧૮ વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાતો, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
પાટણ જિલ્લો જાહેર થયા બાદ વિકાસની દિશામાં હરણફાળ ભરી છે. દરેક ક્ષેત્રમાં આજે પાટણ જિલ્લાનો વિકાસ થયો છે. ત્યારે ૧૫ દિવસ યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લાનાં દરેક ગામ અને શહેરમાં વંદે ગુજરાતનો વિકાસરથ ફરશે અને ૨૦ વર્ષમાં સરકારે કરેલા વિકાસ કામોનો લોકો વચ્ચે લઈ જવાશે. વંદે ગુજરાત વિકાસ મિશન અંતર્ગત વંદે ગુજરાત રથ જિલ્લાના નક્કી કરવામાં આવેલા રૂટ પર ફરશે. વંદે ગુજરાત રથ જ્યાં રાત્રી રોકાણ કરશે ત્યાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.