ટીવી ડિબેટમાં એક મહિના સુધી પોતાના પ્રવકતા નહિ મોકલે કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટી તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાર્ટીએ તમામ પાર્ટી પ્રવકતાઓને ટીવી ડિબેટમાં ભાગ લેવાથી રોકી દીધા છે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના શરમજનક પ્રદર્શન બાદ એક પછી એક પાર્ટી તરફથી કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાર્ટીએ તમામ પાર્ટી પ્રવકતાઓને ટીવી ડિબેટમાં ભાગ લેવાથી રોકી દીધા છે. પાર્ટીએ નિર્ણય કર્યો કે આગામી એક મહિના સુધી કોઈ પણ ન્યૂઝ ચેનલમાં પોતાના પ્રવકતા નહિ મોકલે. કોંગ્રેસ પાર્ટીના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ આ વાતની માહિતી ટ્વીટરના માધ્યમથી આપી. તેમણે લખ્યુ કે કોંગ્રેસે નિર્ણય લીધો છે કે તે આગામી એક મહિના સુધી કોઈ પણ ન્યૂઝ ચેનલની ચર્ચામાં ભાગ લેવા માટે પોતાના પ્રવકતા નહિ મોકલે.
આ પણ વાંચોઃ ફેરનેસ ક્રીમની 2 કરોડ રૂપિયાની એડને અભિનેત્રીએ ઠુકરાવી
અમને આમંત્રણ ન મોકલો
આ સાથે રણદીપ સૂરજેવાલાએ તમામ મીડિયા ચેનલ્સને અપીલ કરી છે કે તે પોતાની ડિબેટમાં કોંગ્રેસના પ્રવકતાને આમંત્રણ ના મોકલે. ટ્વીટમાં તેમણે લખ્યુ છે કે બધા મીડિયા ચેનલ્સ, એડિટર્સને અપીલ છે કે તે કોંગ્રેસ પ્રવકતાઓને પોતાના કાર્યક્રમમાં શામેલ થવા માટે આમંત્રણ ના મોકલે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પાર્ટીને 2019ની લોકસભા ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીને આ વખતે માત્ર 52 સીટો પર જ જીત મળી શકી ત્યારબાદ પાર્ટીની અંદર નેતૃત્વ વિશે સવાલ ઉઠી રહ્યા છે.
રાહુલે લીધી હતી હારની જવાબદારી
ચૂંટણીમાં હાર બાદ પાર્ટીના તમામ નેતાઓએ હારની જવાબદારી લઈને પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. ત્યાં સુધી કે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાના પદેથી રાજીનામાની રજૂઆત કરી. જો કે તેમને પાર્ટીના તમામ દિગ્ગજ નેતા મનાવવામાં લાગી ગયા છે પરંતુ તેમછતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે અને તેમણે પાર્ટીના નેતાઓને સ્પષ્ટ કહી દીધુ છે કે તે સારો વિકલ્પ શોધી લે. સાથે રાહુલ ગાંધીએ એ પણ કહ્યુ છે કે તેમની માંગ છે કે સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીને પણ આ જવાબદારીમાંથી દૂર રાખવામાં આવે અને અન્ય કોઈ ચહેરાની શોધ કરવામાં આવે.
આગામી અમુક મહિના અધ્યક્ષ બની રહેશે રાહુલ
સૂત્રોની માનીએ તો આગામી અમુક મહિના સુધી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બની રહેશે. વાસ્તવમાં પાર્ટીના નેતાઓનું માનવુ છે કે જો રાહુલ ગાંધી આ રીતનો કોઈ નિર્ણય લે છે તો આનાથી પાર્ટીની અંદર નકારાત્મક માહોલ બનશે. આ જ કારણ છે કે આગામી અમુક મહિનાઓ સુધી તેમને પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળવા માટે કહેવામાં આવ્યુ છે. જ્યાં સુધી રાહુલ ગાંધીના વિકલ્પની શોધ પૂરી ન થઈ જાય ત્યાં સુધી વિનંતી કરવામાં આવી છે કે તે પાર્ટીની કમાન સંભાળતા રહે. ઘણા રાજ્ય પ્રભારીઓએ પણ અપીલ કરી છે કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદે જ રહે.
રાહુલને મનાવવાની કોશિશ
તેલંગાના પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ બોલ્લુ કિશને એલાન કર્યુ છે કે જો રાહુલ ગાંધી પોતાનુ રાજીનામુ પાછુ નહિ લે તો તે અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ પર બેસશે. વળી, કર્ણાટકમાં કોંગ્રેસ લેજિસ્લેટર પાર્ટીએ પણ આ વિશે એક વિશ્વાસ પ્રસ્તાવ પાસ કર્યો છે. દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતે પણ બુધવારે રાહુલ ગાંધીને અપીલ કરી છે કે તે પોતાનો નિર્ણય પાછો લે. શીલા દીક્ષિતે રાહુલ ગાંધીના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. જો કે રાહુલ સાથે મુલાકાત બાદ તેમણે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.