Surgical Strike : દિગ્વિજય સિંહના સર્જીકલ સ્ટ્રાઇકવાળા નિવેદનથી કોંગ્રેસે બનાવી દૂરી, જયરામ રમેશે કહી આ વાત
Surgical Strike : કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ પહોંચી ગઈ છે. સતવારીમાં યોજાયેલી જનસભા દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકારની ઘણી નીતિઓને ખોટી ગણાવી હતી.
Surgical Strike : કોંગ્રેસ પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના નિવેદનથી દૂરી બનાવી લીધી છે. આ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વ્યક્ત કરેલા વિચારો તેમના પોતાના છે. કોંગ્રેસને તેની સાથે કોઈ સંબંધ નથી અને અમે એવું માનતા પણ નથી. 2014 પહેલા યુપીએ સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. કોંગ્રેસે રાષ્ટ્રીય હિતમાં તમામ સૈન્ય કાર્યવાહીને સમર્થન આપ્યું છે અને આગળ પણ આપતી રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય પોતાના નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર સર્જીકલ સ્ટ્રાઇકની વાતો કરે છે, પણ તેમાં કેટલાને માર્યા તેનું કોઇ પ્રમાણ નથી. આ સાથે તેમણે રાજનાથ સિંહના રાહુલ નફરતની વાત કરવાવાળા નિવેદન અંગે કહ્યું હતું કે, તમારે પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ભાષણો સાંભળવા જોઇએ. તે ખુલ્લેઆમ મારવા કાપવાની વાતો કરે છે.
કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થવાથી કોને ફાયદો થયો છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આતંકવાદનો અંત આવશે અને હિન્દુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ સંજોગો અલગ છે. જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી આતંકવાદ વધ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં રોજ કોઈને કોઈ ઘટના બની રહી છે. પહેલા આતંકવાદી ઘટનાઓ ખીણ પુરતી મર્યાદિત હતી, પરંતુ હવે તે રાજોરી અને ડોડા સુધી પહોંચી ગઈ છે.
દિગ્વિજયે જણાવ્યું હતું કે, સરકાર રાજ્યની સમસ્યાઓ હલ કરવા માંગતી નથી. તે રાજ્યમાં સમસ્યાને કાયમ રાખવા માંગે છે, જેથી કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને નફરત ફેલાતી રહે. આજ સુધી કોઈ વડાપ્રધાન કોઈ ફિલ્મના પ્રમોશન માટે ગયા નથી, પરંતુ હવે ઉલટું થઇ રહ્યું છે.
દિગ્વિજય સિંહે જણાવ્યું કે, કલમ 370 નાબૂદ થયા બાદ પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચાલુ છે. રાજોરી જિલ્લાના ધાંગરી ખાતે તાજેતરમાં થયેલ આતંકવાદી હુમલો અને જમ્મુના નરવાલ ખાતે બે વિસ્ફોટો ચિંતાનું કારણ છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશ સાથે દિગ્વિજય સિંહે રવિવારના રોજ જમ્મુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આતંકવાદી હુમલામાં ઘાયલોની હાલત જાણ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત કહી છે.
દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, તેઓ ધાંગરી અને નરવાલમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. મોદી સરકાર કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિમાં સુધારો થવાના દાવા કરી રહી છે. જે વાસ્તવિક નથી. રાજ્યમાં દરરોજ ટાર્ગેટેડ કિલિંગ, બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે.