'મોંઘવારી પર હલ્લા બોલ' રેલીમાં ભાજપને ચારે તરફથી ઘેરશે કોંગ્રેસ, યુપી-હરિયાણાથી રામલીલા મેદાન જશે કાર્યકર્તા
વધતી મોંઘવારી, બેરોજગારી અને GSTને લઈને કોંગ્રેસ 4 સપ્ટેમ્બર(રવિવાર)ના રોજ ભાજપ સરકારને ઘેરશે.
નવી દિલ્લીઃ વધતી મોંઘવારી, બેરોજગારી અને GSTને લઈને કોંગ્રેસ 4 સપ્ટેમ્બર(રવિવાર)ના રોજ ભાજપ સરકારને ઘેરશે. કોંગ્રેસ આવતીકાલે દિલ્લીના રામલીલા મેદાનમાં 'મોંઘવારી પર હલ્લા બોલ' રેલીનુ આયોજન કરશે. રાહુલ ગાંધી આ રેલીને સંબોધિત કરશે. રેલીમાં મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર જીએસટી લાદવા માટે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવશે. રેલીમાં દિલ્લી ઉપરાંત હરિયાણા અને ઉત્તર પ્રદેશના પાર્ટી કાર્યકર્તાઓ પણ ભાગ લેશે.
7 સપ્ટેમ્બરથી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ ભાજપ પર જોરદાર નિશાન સાધશે. રાહુલ ગાંધી દેશભરમાં વધતી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓને ઉજાગર કરશે અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપશે.
ભારત જોડો યાત્રા પહેલા મહા રેલી
તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા કોંગ્રેસ પાર્ટીનો અત્યાર સુધીનો સૌથી મોટો જનસંપર્ક કાર્યક્રમ છે. જ્યાં પાર્ટીના નેતાઓ સામાન્ય લોકો સુધી પાયાના સ્તરે પહોંચશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા બીમાર હોવાથી યાત્રામાં ભાગ લેશે નહીં.
કોંગ્રેસ મોંઘવારી અંગે સતત પ્રહારો કરી રહી છે
કોંગ્રેસે કહ્યુ કે મોંઘવારી અને બેરોજગારી સામાન્ય લોકોની સમસ્યા છે, જેને દરેક મંચ પર ઉઠાવવામાં આવશે. સરકારની નીતિથી લોકો નારાજ છે. મોંઘવારીના કારણે લોકોનુ જીવન મુશ્કેલ બની રહ્યુ છે. વિપક્ષ સતત સરકાર પાસે આમાંથી મુક્તિ મેળવવાની માંગ કરી રહ્યો છે.