કોંગ્રેસ ગાંધીવાદી માર્ગે નરેન્દ્ર મોદીને લડત આપશે
અમદાવાદ, 27 ઓગસ્ટ : નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમના વિકાસ કાર્યોની જનતામાં શ્રેષ્ઠ માર્કેટિંગ કરવાની વ્યૂહ રચનાનો જવાબ આપવા માટે કોંગ્રેસ હવે ગાંધીવાદી માર્ગની મદદ લેવાની છે. આ માટે કોંગ્રેસ ગાંધીજીના વિચારો જેમ કે સત્ય અને અહિંસાની મદદ લેશે. કોંગ્રેસની નવી વ્યૂહરચના અનુસાર કોંગ્રેસ દેશના નાગરિકોમાં એવો સંદેશો ફેલાવશે કે ગાંધી વિચાર જ દેશને યોગ્ય દિશા અને નેતૃત્વ પ્રદાન કરી શકે છે.
પોતાની ચૂંટણીલક્ષી વ્યૂહ રચના અંતર્ગત કોંગ્રેસ અંદાજે એક લાખ યુવાનોને સાથે લઇને વિશાળ સંમેલનો યોજશે, આ સંમેલનોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બોલાવવામાં આવશે. કોંગ્રેસ ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી કરી શકે છે.
આ અંગે પાર્ટી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે કોંગ્રેસના અગ્રણી નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આક્રમકતા સામે કેવી રીતે ટકવું અને આગળ વધવું તે અંગેનો માર્ગ શોધી રહ્યા છે. કોંગ્રેસને આશા છે કે આ રીતે તે પોતાની સિદ્ધિઓ અને યોજનાઓને જનતા સમક્ષ લાવીને રજૂ કરવાથી સત્તામાં ફરી પાછા આવવામાં સફળ થશે.

આ ઉપરાંત કોંગ્રેસે સોશિયલ મીડિયા સાથે જોડાઇને દેશના તમામ વર્ગ સાથે જોડાઇને પોતાનો પ્રભાવ છોડવાનું પણ આયોજન કર્યું છે. આ માટે ખાસ સોશિયલ મીડિયા ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ સોશિયલ મીડિયા પર પક્ષના વિચારો રજૂ કરવા સાથે મહત્તમ યુવાનોને કોંગ્રેસ સાથે જોડવામાં પણ મદદ કરશે.
અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર સતત પ્રહારો કરતા રહ્યા છે. મોદીએ પાછલા દિવસોમાં હૈદરાબાદમાં આયોજિત એક રેલીમાં કોંગ્રેસ પાર્ટી અને દેશની વર્તમાન આર્થિક દુર્દશા સામે આકરા પ્રહારો કર્યા હતા.
દેશના યુવાનોમાં નરેન્દ્ર મોદી ઘણા લોકપ્રિય છે. જેમ જેમ લોકસભા ચૂંટણી 2014 નજીક આવતી જાય છે તેમ તેમ નરેન્દ્ર મોદી કોંગ્રેસ સામે વધારે આક્રમક બનતા જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતાઓને એમ લાગી રહ્યું છે કે ગાંધીવાદી વિચારો જ તેમને આ પડકારમાંથી બહાર કાઢી શકવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ ચૂંટણીઓમાં મત મેળવવામાં મદદ કરી શકે છે.












Click it and Unblock the Notifications
