કોંગ્રેસને આવતા વર્ષે મળશે ફૂલ ટાઈમ અધ્યક્ષ, સપ્ટેમ્બરમાં થશે ચૂંટણી
સૂત્રોના હવાલાથી સમાચાર છે કે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ શકે છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસે આજે વર્કિંગ કમિટીની બેઠક બોલાવી. બેઠકમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઉપરાંત કોંગ્રેસ સંગઠનાત્મક ચૂંટણી પણ મહત્વનો મુદ્દો છે. બેઠકમાં પોતાના સંબોધનમાં સોનિયા ગાંધીએ જલ્દી કોંગ્રેસના સંગઠન ચૂંટણીની પ્રક્રિયાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઈ જવાની વાત કહી છે. વળી, સૂત્રોના હવાલાથી સમાચાર છે કે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ શકે છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે સીડબ્લ્યુસી બેઠકમાં સોનિયા ગાંધી પર ભરોસો વ્યક્ત કરીને કહ્યુ કે કોઈ પણ તેમના નેતૃત્વ પર સવાલ નથી ઉઠાવી રહ્યુ.
કોંગ્રેસમાં પૂર્ણકાલિન અધ્યક્ષની સતત માંગ કરનાર પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ(જી-23)ને સંદેશ આપીને પોતાના પ્રારંભિક સંબોધનમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે જો તમે મને એ કહેવાની મંજૂરી આપતા હોય તો હું કહીશ કે હું જ કોંગ્રેસની ફૂલ ટાઈમ અધ્યક્ષ છુ. મારે મીડિયામાં આ વાત કરવાની જરૂર નથી. વળી, પાર્ટીમાં સંગઠન ચૂંટણી પર કામ ચાલી રહ્યુ છે અને જલ્દી તેની બ્લ્યુ પ્રિન્ટ તમારી સામે આવી જશે. સોનિયા ગાંધીએ કહ્યુ, 'હું હંમેશાથી પાર્ટીમાં સ્પષ્ટ રીતે વાત કરવામાં વિશ્વાસ રાખુ છુ, પાર્ટી એકતા સાથે ચાલવાથી જ મજબૂત થશે. આપણે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છીએ પરંતુ આપણે એકજૂટ હોઈશુ તો તે પાર્ટીના હિતમાં હશે અને આપણે સારુ પ્રદર્શન કરી શકીશુ.'
સોનિયા ગાંધીએ ખેડૂત આંદોલન અને દેશની આર્થિક સ્થિતિ પર કહ્યુ કે, 'સંસદ દ્વારા ત્રણ કાળા કાયદાને પાસ થયે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આપણે તેમને બિલને નિરીક્ષણને આધીન કરવાની પૂરી કોશિશ કરી પરંતુ કેન્દ્રની મોદી સરકાર તેને પાસ કરાવવા પર અડી ગઈ હતી જેથી અમુક ખાનગી કંપનીઓને ફાયદો થઈ શકે. સરકારને ખેડૂતોની ચિંતા નથી પૂંજીપતિઓની ચિંતા છે.
કોંગ્રેસ કાર્યકારી સમિતિ(સીડબ્લ્યુસી)ની બેઠકમાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજસ્થાન સીએમ અશોક ગહેલોત, પંજાબ સીએમ ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલ, ગુલામનબી આઝાદ, કપિલ સિબ્બલ સહિત પાર્ટીના 52 વરિષ્ઠ નેતા શામેલ થયા છે. પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ બેઠકમાં નથી.