કોરોના અપડેટઃ સતત બીજા દિવસે રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઘટી, 24 કલાકમાં 41383 નવા કેસ
દેશમાં આજે ફરીથી એક વાર 41 હજારથી વધુ કોરોનાના લેટેસ્ટ કેસ સામે આવ્યા છે. જાણો કોરોનાના લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં આજે ફરીથી એક વાર 41 હજારથી વધુ કોરોનાના લેટેસ્ટ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41383 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 38652 દર્દી રિકવર થઈને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 507 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ સંક્રમણની વાત કરીએ તો આ સંખ્યા 3,12,57,720 છે જ્યારે અત્યાર સુધી 3,04,29,339 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 4,09,394 છે અત્યાર સુધી દેશમાં કોરોનાથી 4,18,987 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના સામે વેક્સીન મહત્વનુ હથિયાર છે. આ જ કારણ છે કે સરકાર સતત લોકોને વેક્સીન લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. અત્યાર સુધી દેશમાં કોરોના વેક્સીનના 41,78,51,151 ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટની વાત કરીએ તો તે 97.35 ટકા છે. અત્યાર સુધી કુલ સંક્રમણના કેસોની સરખામણીમાં સક્રિય કેસની વાત કરીએ તો તે 1.31 ટકા છે.
સાપ્તાહિક સંક્રમણ દર હજુ પણ 5 ટકાથી નીચે છે તે 2.12 ટકાછે. દૈનિક સંક્રમણ દર સતત 31માં દિવસે 3 ટકાથી ઓછો છે અને તે 2.41 ટકા છે. તમને જણાવી દઈએ કે દેશમાં હજુ પણ સંક્રમણનો ખતરો સતત ચાલુ છે. કેરળ, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના રાજ્યોમાં કેસોમાં એટલો ઝડપથી ઘટાડો નથી થઈ રહ્યો જેટલો અન્ય રાજ્યોમાં છે. મણિપુરમાં 10 દિવસનો સંપૂર્ણ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.