Corona Vaccine : ભારતની વેક્સિન સેન્ચ્યૂરીમાં કઈ વેક્સિનનો કેટલો હિસ્સો? આ રહ્યાં તમામ આંકડા!
કોરોના વાયરસ સામે ચાલી રહેલા જંગમાં ભારતે એક મોટો માઈલ સ્ટોન પાર કર્યો છે. કોરોનાને મૂળમાંથી ખતમ કરવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
નવી દિલ્હી, 21 ઓક્ટોબર : કોરોના વાયરસ સામે ચાલી રહેલા જંગમાં ભારતે એક મોટો માઈલ સ્ટોન પાર કર્યો છે. કોરોનાને મૂળમાંથી ખતમ કરવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ અંતર્ગત ભારતે 100 કરોડની કોરોના રસીકરણના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે.
દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી માત્ર 278 દિવસમાં ભારતે રસીકરણમાં નવો રેકોર્ડ બનાવ્યો છે અને 100 કરોડ કોરોના રસીના ડોઝ આપનારો દેશ બની ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 100 કરોડ રસીકરણ પુરૂ થવા પર આરએમએલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.
આ સાથે મોદી 100 કરોડમીં રસી મેળવનાર વ્યક્તિને પણ મળ્યા હતા. આ વ્યક્તિ બનારસથી દિલ્હી આવેલા વ્યક્તિ અરુણ રોય હતા, જેમણે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં રસી લીધી હતી. આ સાથે જ પીએમ મોદીએ દેશને 100 કરોડ રસીકરણ માટે અભિનંદન પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે દેશને 100 કરોડ રસીઓનું રક્ષણાત્મક આવરણ મળ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, આજે વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતે 100 કરોડ કોવિડ-19 રસીઓ આપવાની મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ દિવસ તરીકે નોંધવામાં આવશે. અમે માત્ર 9 મહિનામાં 100 કરોડ રસીઓ મૂકી છે.
દેશમાં ત્રણ રસીઓ આપવામાં આવી રહી છે, જેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને રશિયાની રસી સ્પુટનિક વી. ભારતે રસીઓના વિતરણ સાથે 100 કરોડ રસીકરણનો જાદુઈ આંકડો પાર કર્યો છે, જેમાં કોવિશિલ્ડ - 87.93 કરોડ (88.4%), કોવૈક્સિન - 11.4 કરોડ (11.4%) અને સ્પુટનિક વી - 10.48 લાખ (0.1%) ડોઝનો સમાવેશ થાય છે.