રાહતના સમાચારઃ ડેલ્ટા પ્લસ વેરિઅંટથી કોરોનાની ત્રીજી લહેર આવશે એવા કોઈ પુરાવા નથી
દેશના મોટા ડૉક્ટરોમાં ગણાતા અને જીનોમ સીક્વેન્સર ડૉ. અનુરાગ અગ્રવાલે ડેલ્ટા પ્લસ વેરિઅંટ વિશે એક રાહતના સમાચાર આપ્યા છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ થોડો ઘટવા સાથે હવે આરોગ્ય વિશેષજ્ઞો સામે ત્રીજી લહેરની સંભાવનાઓ ઉભી થઈ ગઈ છે. વિશેષજ્ઞોનુ માનવુ છે કે કોરોના વાયરસના નવા વેરિઅંટ 'ડેલ્ટા પ્લસ'ના કારણે દેશમાં આ મહામારીની ત્રીજી લહેર આવી શકે છે. અત્યાર સુધી મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યોમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅંટના 40 કેસ સામે આવી ચૂક્યા છે. જો કે, આ દરમિયાન દેશના મોટા ડૉક્ટરોમાં ગણાતા અને જીનોમ સીક્વેન્સર ડૉ. અનુરાગ અગ્રવાલે ડેલ્ટા પ્લસ વેરિઅંટ વિશે એક રાહતના સમાચાર આપ્યા છે.
'ડેલ્ટા પ્લસની ત્રીજી લહેર સાથે કોઈ લેવા-દેવા નથી'
એનડીટીવીના સમાચાર મુજબ ઈન્સ્ટીટ્યુટ ઑફ જીનોમિક્સ એન્ડ ઈંટીગ્રેટીવ બાયોલૉજીના નિર્દેશક ડૉ. અનુરાગ અગ્રવાલે જણાવ્યુ, 'હજુ સુધી એવા કોઈ પુરાવા નથી જેનાથી એ માનવામાં આવે કે ડેલ્ટા પ્લસ વેરિઅંટને કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર સાથે કોઈ લેવા-દેવા હોય. મારી ઈન્સ્ટીટ્યુટે જૂનના મહિનામમાં મહારાષ્ટ્રથી લાવેલા 3500થી વધુ સેમ્પલનુ સીક્વન્સ કર્યુ. આમાં એપ્રિલ અને મેના સેમ્પલ્સ પણ કવર કરવામાં આવ્યા. અમે એ તો જોયુ કે તેમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ બહુ વધુ છે પરંતુ આમ જોવા જઈએ તો એક ટકાથી પણ ઓછા હશે.'
ડેલ્ટાનો કોઈ પણ વેરિઅંટ એક ચિંતાજનક વેરિઅંટ
ડૉ. અનુરાગ અગ્રવાલના જણાવ્યા મુજબ, 'ડેલ્ટાનો કોઈ પણ વેરિઅંટ એક ચિંતાજનક વેરિઅંટ છે. તો જ્યારે હું કહુ કે આપણે બહુ વધુ ચિંતા કરવાની જરૂર નથી, તો મારો અર્થ સ્પષ્ટ છે કે આજે ભારતમાં ક્યાંય પણ હાજર કોઈ પણ ડેલ્ટા માટે આપણે ત્રીજી લહેર વિશે ચિંતા કરતા પહેલા બીજી લહેર ખતમ ના થવા વિશે ચિંતિંત થવુ જોઈએ. બીજી લહેરની ગતિ ભલે ઘટી હોય પરંતુ જો આપણે કોવિડ પ્રોટોકૉલમાં બેદરકારી રાખીશુ તો આપણા માટે ભારે પડી શકે છે.
અત્યાર સુધી ક્યાં ક્યાં મળ્યો ડેલ્ટા પ્લસ વેરિઅંટ
તમને જણાવી દઈએ કે ડેલ્ટા પ્લસ વેરિઅંટ માટે કેન્દ્ર સરકારે બુધવારે પત્ર લખીને રાજ્ય સરકારોને કહ્યુ કે જે જિલ્લાઓમાં આ વેરિઅંટના કેસ મળી રહ્યા છે ત્યાં પ્રાથમિકતાના આધારે રોકથામના ઉપાય કરવામાં આવે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પોતાના પત્રમાં રસીકરણની ગતિ વધવાની પણ સલાહ આપી. ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ અત્યાર સુધી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળમાં જ મળ્યા છે. કેરળમાં કોરોનાના ડેલ્ટા પ્લસ કેસોને જોતા ત્રણ ગામોને સીલ કરી દેવામાં આવ્યા છે.