ચલણી નોટો પર મહાત્મા ગાંધી સાથે લક્ષ્મીજી અને ગણેશની પણ તસવીરો હોવી જોઈએ-કેજરીવાલ
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે કે ચલણી નોટો પર મહાત્મા ગાંધી સાથે ગણેજ અને લક્ષ્મીજીના પણ ફોટો લવાવવામાં આવે.
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે કે ચલણી નોટો પર મહાત્મા ગાંધી સાથે ગણેજ અને લક્ષ્મીજીના પણ ફોટો લવાવવામાં આવે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે આપણી નવી નોટો પર ગાંધીજીની તસવીર સાથે શ્રી ગણેશજી અને શ્રી લક્ષ્મીજીની તસવીર લગાવવામાં આવે.
કેજરીવાલે કહ્યું કે, દેશની કરન્સી નબળી પડી રહી છે અને અર્થવ્યવસ્થા ઉથલપાથલ છે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. પાછલી દિવાળીમાં આપણે બધાએ શ્રી લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા કરી હતી. તેમણે કહ્યું કે અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ આપણે ભગવાન પર ભરોસો રાખીએ છીએ. આ સ્થિતિમાં મારી અપીલ છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે શ્રી લક્ષ્મીજી અને શ્રી ગણેશજીની તસવીર ભારતીય ચલણ પર લગાવવામાં આવે.
કેજરીવાલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ અપીલ કરી હતી. આ દરમિયાન જ્યારે તેમને હિંદુત્વ કાર્ડ ખેલવાના આરોપ પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ આરોપો લાગતા રહે છે, પરંતુ સત્યની શક્તિને કોઈ કમજોર કરી શકતું નથી.
આ પ્રેસ કોન્ફ્રન્સમાં કેજરીવાલે દિલ્હીમાં વધતા પ્રદુષણ મુદ્દે પણ વાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, અમે દિલ્હીને સ્વચ્છ હવાવાળું શહેર બનાવીશું. અમારી મહેનતનું પરિણામ દેખાઈ રહ્યું છે અને આ વખતે દિલ્હીના પ્રદૂષણમાં ઘટાડો થયો છે.
દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી મુદ્દે કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના લોકો હવે ઈચ્છે છે કે તેમના ઘરની આસપાસ સ્વચ્છતા હોવી જોઈએ અને તેમને સમસ્યાઓમાંથી મુક્તિ મળે, આવી સ્થિતિમાં જ્યારે પણ ચૂંટણી થાય, લોકો અમને પસંદ કરશે.