Cyclone Sitrang: 'સિતરંગ' વાવાઝોડુ આજે રાતે કરી શકે છે વિનાશ, IMDએ જાહેર કરી એડવાઈઝરી
બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડા 'સિતરંગ'ની અસર ધીમે ધીમે પશ્ચિમ બંગાળમાં દેખાઈ રહી છે.
બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડા 'સિતરંગ'ની અસર ધીમે ધીમે પશ્ચિમ બંગાળમાં દેખાઈ રહી છે. કોલકાતા સહિત ઘણા જિલ્લાઓમાં રવિવારે વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. પૂર્વ મિદનાપુરમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થયો હતો. 'સિતરંગ' બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સુંદરવનમાં ભારે વિનાશ સર્જી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે વાવાઝોડા સિતરંગે રવિવારે સાંજે બંગાળની ખાડી પર વેગ પકડ્યો હતો અને સોમવારે તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
મંગળવારે સવારે આ ચક્રવાતી તોફાન સિતરંગ બાંગ્લાદેશમાં ટીનાકોના દ્વીપ અને સંદ્વિપ બરીસાલ પાસે લેન્ડફોલ કરી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ પુરી, જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક, બલેશ્વર, મયુરભંજ, જાજપુર, કેઓંઝર, કટક અને ઓડિશાના ખુર્દા જિલ્લામાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના ચક્રવાત મોનિટરિંગ વિભાગના પ્રભારી આનંદ કુમાર દાસે જણાવ્યુ હતુ કે, 'સિતરંગ થોડા કલાકો સુધી લેન્ડફોલ દરમિયાન તીવ્ર ચક્રવાતી વાવાઝોડુ રહેશે. તે પછી તે ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે. ચક્રવાતની અસરને કારણે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આજે રાતે વરસાદ પડી શકે છે. વળી, તે 25 ઓક્ટોબરે વ્ગ પકડશે. ચક્રવાત સિતરંગને લઈને પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બંગાળના સાત જિલ્લામાં NDRFની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. બંગાળની સરહદે આવેલા રાજ્ય ઓડિશામાં પણ જોખમ છે.
હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે 5-6 મીટર સુધીની ભરતીના મોજા પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના નીચાણવાળા વિસ્તારોમાં અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદનુ કારણ બનશે. આ સાથે આ વિસ્તારોમાં પૂરની પણ સંભાવના છે. હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ કહ્યુ, 'અમે પશ્ચિમ બંગાળના ત્રણ જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ મેદિનીપુર છે. આ વિસ્તારો અને દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગોમાં સોમવારે પવનની ગતિ 45થી 55 કિમી પ્રતિ કલાક સુધી રહેશે. મંગળવારે લેન્ડફોલ દરમિયાન આ જિલ્લાઓ અને સમગ્ર સુંદરવન ક્ષેત્રમાં પવનની ઝડપ 60 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.'
આઈએમડીના ડાયરેક્ટર જનરલ એમ મહાપાત્રાએ જણાવ્યુ કે, વાવાઝોડુ સિતરંગ 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરશે. ચક્રવાત મધ્યમથી ગંભીર રહેવાની ધારણા છે. અમે વધુ તીવ્રતાની અપેક્ષા રાખતા નથી. હવામાન વિભાગે કહ્યુ કે પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં સંપત્તિ અને ઉભા પાકને નુકસાન થઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ભારે વરસાદને કારણે સ્થાનિક ભૂસ્ખલનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં હવામાન વિભાગે માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધની સલાહ આપી છે અને લોકોને સુરક્ષિત સ્થાનો પર રહેવા કહ્યુ છે.