ચાર વર્ષના દલિત બાળકના મંદિર પ્રવેશ પર પિતા પર લગાવ્યો 25 હજારનો દંડ, 10 હજાર શુદ્ધિ માટે અલગ
કર્ણાટકના કોપ્પલમાં એક દલિત બાળકના મંદિરમાં જતા રહેવાના કારણે તેના પરિવાર પર 25 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
બેંગલુરુઃ કર્ણાટકના કોપ્પલમાં એક દલિત બાળકના મંદિરમાં જતા રહેવાના કારણે તેના પરિવાર પર 25 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. સાથે 10 હજાર રૂપિયા મંદિરને સાફ કરવા માટે માંગવામાં આવ્યા. કેસ મીડિયામાં આવ્યા બાદ ગામના લોકોએ છટકવાની કોશિશ કરી પરંતુ પોલિસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના કોપ્પલના મિયાપુરા ગામમાં 4 સપ્ટેમ્બરની છે. અહીં એક દલિતનો ચાર વર્ષનો દીકરો મંદિરની અંદર જતો રહ્યો.
વાસ્તવમાં આ બાળક પોતાના જન્મદિવસે માતાપિતા સાથે અહીં આવ્યો હતો. દલિતોને મંદિરની અંદર જવાની અનુમતિ નથી માટે તેઓ દરવાજાની બહાર ઉભા રહીને પ્રાર્થના કરી રહ્યા હતા. આ દરમિયાન બાળક માતાપિતાનો હાથ છોડાવીને મંદિરની અંદર જતો રહ્યો. આ દરમિયાન કોઈને તેને ઓળખી લીધો કે આ દલિત પરિવારનો બાળક છે. દલિત બાળકના મંદિરમાં પ્રવેશ પર મંદિરના કર્તાધર્તાઓ અને કથિત ઉચ્ચ જાતિના લોકોએ કહ્યુ કે આ એક પ્રકારનુ પાપ થયુ છે અને મંદિર પણ અશુદ્ધ થઈ ગયુ છે.
ત્યારબાદ આ લોકોએ પંચાયત બોલાવીને નિર્ણય સંભળાવ્યો અને 35 હજાર રૂપિયાનો દંડ કર્યો. બાળકના પિતા પાસેથી 25 હજાર રૂપિયાનો દંડ અને 10 હજાર રૂપિયા મંદિરની સફાઈ માટે આપવાનુ કહેવામાં આવ્યુ. ગામના તહેસીલદારે જણાવ્યુ કે બાદમાં ગામના વડીલોએ માફી માંગી અને કહ્યુ કે આ ભૂલના કારણે થયુ. કોપ્પલ પોલિસે જણાવ્યુ કે ઘટના માટે કેસ નોંધવામાં આવ્યો છે. દલિત વ્યક્તિ પર દંડ કરવા મામલે પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.