PM નરેન્દ્ર મોદીથી ડરે છે દાઉદ? ઇકબાલ કાસ્કરનો ખુલાસો
નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ દાઉદ ઇબ્રાહિમ 4 વાર પોતાના ઠેકાણા બદલી ચૂક્યો છે.
ભારતનો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ડરે છે. નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી દાઉદને પકડાઇ જવાનો ડર લાગી રહ્યો છે અને આ કારણે તે સતત પોતના રહેવાની જગ્યા પણ બદલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નરેન્દ્ર મોદીના સરકાર આવ્યા બાદ દાઉદ પોતાના 4 ઠેકાણા બદલી ચૂક્યો છે અને તેની સુરક્ષામાં 50 ટકા વધારો કરવામાં આવ્યો છે. આ ખુલાસો દાઉદના ભાઇ ઇકબાલ કાસ્કરે કર્યો છે.
પોલીસની પૂછપરછમાં ઇકબાલે ખુલાસો કર્યો કે, દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે, છેલ્લા થોડા સમયથી તેની સુરક્ષામાં 50 ટકા વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2014 પછીથી દાઉદે પાકિસ્તાનમાં જ 4 ઠેકાણા બદલ્યા છે. તેણે આગળ કહ્યું કે, દાઉદ આજે પણ પોતાના પરિવારજનો સાથે જોડાયેલો છે, પરંતુ તે જાતે ફોન પર વાત નથી કરતો. તે પોતાના માણસો દ્વારા દેશ-વિદેશમાં રહેતા તેના પરિવારજનો અંગે માહિતી મેળવે છે અને જરૂર પડતાં દરેક રીતે તેમની મદદ પણ કરે છે.
દાઉદ ઇબ્રાહિમના ભાઇની ધરપકડ બાદ તેના ઘણા કાળા કામો સામે આવ્યા છે. ઠાણેના પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, ઇકબાલ કાસ્કરનો મુખ્ય ધંધો બિલ્ડરો પાસેથી ઉઘરાણી કરવાનો હતો. નોટબંધીને કારણે દાઉદના આ કાળા ધંધાને ફટકો પણ પડ્યો હતો, જે પછી તેઓ ખંડણી તરીકે ફ્લેટની માંગણી કરતા થયા હતા. દાઉદ માટે કામ કરતા હોવાની આશંકા હેઠળ હાલ બે એનસીપી નેતાઓની ભૂમિકાની તપાસ થઇ રહી છે. જો કે, એનસીપી દ્વારા આ તમામ શંકા અને શક્યતાઓને નકારવામાં આવી છે.