દિલ્લીમાં બુલડોઝર કાર્યવાહી પર CM કેજરીવાલે આપના ધારાસભ્યો સાથે બોલાવી મહત્વની બેઠક
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં આમ આદમી પાર્ટીના નેતાઓની મહત્વની બેઠક બોલાવી છે.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં એમસીડી તરફથી ગેરકાયદે અતિક્રમણ પર બુલડોઝર ચલાવવા વિરુદ્ધ રાષ્ટ્રીય રાજધાનીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીના નેતાઓની મહત્વની બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી બોલાવવામાં આવેલી આ બેઠકમાં આપના બધા ધારાસભ્યો હાજર રહેશે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ પહોંચી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્લીના ત્રણે નગર નિગમો દ્વારા શાહીન બાગ, મદનપુર ખાદર, ન્યૂ ફ્રેન્ડસ કૉલોની, મંગોલપુરી, કરોલ બાગ, ખ્યાલા અને લોધી કૉલોની સહિત દિલ્લીના ઘણા ભાગોમાં દબાણ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જે હેઠળ ગેરકાયદે નિર્માણોને તોડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ બેઠક સિવિલ લાયન્સ સ્થિત કેજરીવાલના અધિકૃત આવાસ પર શરુ થશે જેમાં દબાણ વિરોધી અભિયાનને લઈને ભાજપનો મુકાબલો કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આ પહેલા આ બેઠક શનિવારે યોજાવાની હતી પરંતુ મુંડકા વિસ્તારમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ તેને રદ કરવામાં આવી હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેમને અતિક્રમણ વિરોધી અભિયાનના નામે "ડિમોલિશન કાર્ય" રોકવા વિનંતી કરી. સિસોદિયાએ ભાજપની "બુલડોઝર રાજનીતિ" ની પણ ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો સંયુક્ત રીતે રાષ્ટ્રીય રાજધાનીમાં 63 લાખ મકાનોને તોડી પાડવાની યોજના બનાવી રહ્યા છે.