બાળકી સાથે હેવાનિયત કેસમાં દિલ્લી કોર્ટે બધા આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા
દિલ્લીની એક અદાલતે બાળકી સાથે હેવાનિયત કેસમાં દિલ્લી પોલિસ ક્રાઈમ બ્રાંચને બધા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ આપ્યા છે.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લી એક વાર ફરીથી હચમચી ગઈ હતી જ્યારે દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના એક સ્મશાન ઘાટમાં 9 વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યાનો કેસ સામે આવ્યો હતો. હવે આ મામલે દિલ્લીની એક અદાલતે દિલ્લી પોલિસ ક્રાઈમ બ્રાંચને બધા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલિસ રેકૉર્ડ અનુસાર ઘટના રવિવાર(1 ઓગસ્ટ) સાંજે 5.30થી 6 વાગ્યા વચ્ચેની છે. જો કે સમગ્ર ઘટનાએ બે દિવસ બાદ જોર પકડ્યુ અને પોલિસે કાર્યવાહી કરી.
આ કેસમાં પોલિસે પૂજારી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ઘટના મુજબ દિલ્લીના કેન્ટ વિસ્તારમાં એક 9 વર્ષની બાળકી સાથે કથિત રીતે રેપ અને પછી તેની હત્યા કરી દેવામાં આવી. એટલુ જ નહિ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા. માહિતી મુજબ સ્મશાન ઘાટના પૂજારીએ પરિવારજનોને જણાવ્યુ કે બાળકીનુ વીજળીનો કરન્ટ લાગવાથી મોત થઈ ગયુ છે. સાથે જ પરિવારના લોકોને એ પણ કહ્યુ કે જો પોસ્ટમૉર્ટમ કરાવ્યુ તો બાળકીના અંગોની ચોરી પણ થઈ શકે છે ત્યારબાદ ઉતાવળમાં બાળકીના શબના ત્યાં જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
ઘટના બાદ પીડિતા પરિવારે આરોપ લગાવીને કહ્યુ કે બાળકીની હત્યા કરતા પહેલા તેની સાથે રેપ કરવામાં આવ્યો. કેસ આગળ વધ્યા બાદ પોલિસે બાળકીના માના નિવેદનના આધારે પૂજારી અને અન્ય 3 લોકો સામે કેસ નોંધી લીધો. આ તરફ બાળકીની માએ જણાવ્યુ કે જ્યારે તેણે જોયુ ત્યારે બાળકીના હોઠ વાદળી થઈ ગયા હતા અને હાથમાં દાઝ્યાના નિશાન પણ હતા.
પીડિતા પરિવારને મળ્યા કેજરીવાલ-રાહુલ ગાંધી
દિલ્લીને હચમચાવી દેનાર આ ઘટના બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. કેજરીવાલે ઘટના અંગે કહ્યુ કે દોષિતોને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા મળવી જોઈએ. વળી, રાહુલ ગાંધીએ પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી.