દિલ્હી ગેંગરેપ કેસ : 'નિર્ભયા'ના દોષીઓને આજે મળશે સજા
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર : ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં થયેલા ગેંગરેપમાં સાકેત કોર્ટ 12.30 વાગ્યા પછી પોતાનો નિર્ણય સંભળાવશે. આ કેસના ચાર આરોપીઓને કોર્ટમાં લાવી દેવામાં આવ્યા છે. જેના પગલે સાકેત કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર પર ગેંગરેપ, હત્યા, હત્યાની કોશિશ સહિત ઘણી ધારાઓ અંતર્ગત આરોપ લાગેલા છે. આ મામલાના એક આરોપી રામસિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે એક સગીર વયના આરોપીને સજા સંભળાવી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરની રાત્રે મુનિરકાના આ બસ સ્ટોપ પર યુવતી પોતાના મિત્રની સાથે બસની રાહ જોઇ રહી હતી. દ્વારકાની એક બસમાં બંને સવાર થયા. બસમાં સવાર લોકોએ યુવકને ગંભીર રીતે માર માર્યો અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી અને ધીરેધીરે કરીને તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી. પીડિતાના મિત્રએ તેમને ઓળખી પણ કાઢ્યા. જોકે સારવાર દરમિયાન પીડિતા 'નિર્ભયા'નું નિધન થયું. તેના મૃત્યુના પગલે દેશના લોકોમાં વધુ રોષની લાગણી પ્રસરી ગઇ.
ઠેરઠેર વિરોધો થવા લાગ્યા. લોકોએ આરોપીઓને છડે ચોક ફાંસી આપવાની માંગ કરી. આ ઘટનાને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર બદનામ થઇ ગઇ. આજે દોષીઓને કેવી સજા મળે છે એ પરથી નક્કી થકે 'નિર્ભયા'ને કેટલે અંશે ન્યાય મળ્યો.