MCD Election: મનીષ સિસોદિયાએ ફરીથી કર્યો ભારે જીતનો દાવો, અસ્થાયી કર્મચારીઓને નિયમિત કરવાનુ આપ્યુ વચન
સિસોદિયાએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી 4 ડિસેમ્બરે યોજાનારી દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીમાં 'વિશાળ વિજય' મેળવશે.
Delhi MCD Election: દિલ્લીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે કહ્યુ કે જો આમ આદમી પાર્ટી મ્યુનિસિપલ ચૂંટણી જીતશે તો કચરા સ્થળો(લેન્ડફિલ્સ)ની સફાઈ, બજારોનો પુનઃવિકાસ, કામચલાઉ કામદારોને નિયમિત કરવા અને વેતનની સમયસર ચૂકવણી એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ હશે. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પીટીઆઈ-ભાષા સાથેની એક મુલાકાતમાં જણાવ્યુ હતુ કે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (આરડબ્લ્યુએ) ને 'મિની કાઉન્સિલર'નો કાનૂની દરજ્જો આપવામાં આવશે.
તેમણે કહ્યુ કે તેઓ 'મોહલ્લા સભા' તરીકે કામ કરશે, જે અવધારણાને ભારતીય જનતા પાર્ટી(BJP) શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા સ્વીકારવામાં આવી નહોતી. સિસોદિયાએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી 4 ડિસેમ્બરે યોજાનારી દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીમાં 'વિશાળ વિજય' મેળવશે અને મતદારો ભાજપ દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણા જોઈ શકશે.
તેમણે કહ્યુ કે ભાજપ હરીફાઈમાં ક્યાંય નથી અને ભાજપના નેતાઓ વીડિયો જાહેર કરવામાં અને ખોટા આરોપો લગાવવામાં વ્યસ્ત છે, પરંતુ આ 'દુષ્પ્રચાર અભિયાન'ની 4 ડિસેમ્બરની ચૂંટણીમાં મતદારોને કોઈ અસર નહિ થાય. દિલ્લીમાં ત્રણ લેન્ડફિલ સાઇટ્સને સાફ કરવા માટે AAPના એક્શન પ્લાનનો ઉલ્લેખ કરતાં સિસોદિયાએ કહ્યુ કે છેલ્લા પાંચ-છ મહિનામાં યોગ્ય અભ્યાસ કર્યા બાદ તેને તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે હાલની નગર નિગમની ગતિ અને ટેક્નોલૉજી સાથે તે કચરાના સ્થળોને સાફ કરવામાં દાયકાઓ લાગી જશે.
તેમણે કહ્યુ, 'અમે ઘન કચરો ઘરોમાંથી ઉપાડવામાં આવે ત્યારથી જ તેના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીશુ. વધુમાં, સ્વચ્છતા કામદારોનો રચનાત્મક ઉપયોગ અને વેતનની સમયસર ચુકવણી એ લેન્ડફિલ સાઇટ્સને સાફ કરવાના અમારા રોડમેપનો એક ભાગ છે. નિષ્ણાતો કહે છે કે ઘન કચરો એ સોનાની ખાણ છે અને સરકારને તેમાંથી આવક પણ મળી શકે છે.' સિસોદિયાએ ભાજપના એ દાવાઓને પણ નકારી કાઢ્યા કે દિલ્લી સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનોને તેમની બાકી રકમ આપવામાં આવી નથી. તેમણે કહ્યુ કે કેજરીવાલ સરકારે 2015 પહેલાની સરખામણીએ નગર નિગમોને વધુ રકમ આપી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરડબ્લ્યુએને સશક્ત બનાવવાના વચનનો પુનરોચ્ચાર કરતા મનીષ સિસોદિયાએ કહ્યુ કે આરડબ્લ્યુએને 'મિની કાઉન્સિલરો'નો કાનૂની દરજ્જો આપવામાં આવશે. તેમણે કહ્યુ કે 2015માં AAP સરકારે 'મોહલ્લા સભા'નો પ્રયોગ કર્યો હતો પરંતુ MCDએ તેને મંજૂરી આપી ન હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપે 70 મ્યુનિસિપલ વોર્ડમાં 'ગેરકાયદે બજારો' ચલાવવા માટે લાયસન્સ આપ્યા નથી પરંતુ AAP ચૂંટણી જીત્યા પછી આવા તમામ બજારોને કાયદેસર બનાવશે.
મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે ભાજપ મેદાનમાં ક્યાંય નથી અને તેમના આંતરિક સર્વેક્ષણોએ હારનો સંકેત આપ્યા પછી પાર્ટીમાં 'બેચેની' છે. તેમણે કહ્યુ કે, 'તે પણ સ્પષ્ટ છે કે ભાજપે વરિષ્ઠ કેન્દ્રીયમંત્રીઓ અને પક્ષ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને પ્રચાર માટે નિયુક્ત કર્યા છે. તે નેતાઓ પોતે જોઈ શકે છે કે રસ્તાઓ પર કેટલો કચરો પડ્યો છે.' જ્યારે સિસોદિયાને પૂછવામાં આવ્યુ કે ભાજપ ભ્રષ્ટાચાર અને પાર્ટી ટિકિટના 'વેચાણ'ના આરોપોને લઈને AAP પર સતત પ્રહારો કરી રહી છે ત્યારે તેમણે કહ્યુ, 'મતદાતાઓ આ પ્રચાર અભિયાનથી પ્રભાવિત થવાના નથી. લોકો પોતે જ વિચારી રહ્યા છે કે MCDમાં પોતાના 15 વર્ષના કામ વિશે ચર્ચા કરવાને બદલે એ લોકો વીડિયો કેમ જાહેર કરી રહ્યા છે અને ખોટા આરોપો લગાવે છે.'