MCD Election Result: જનાદેશ બતાવશે કે આપ એક ઈમાનદાર પાર્ટી છે, પરિણામ પહેલા બોલ્યા મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ દિલ્લી નગર નિગમના ચૂંટણીના પરિણામોની ઘોષણા પહેલા આપની ભારે જીતનો દાવો કર્યો છે.
MCD Election Result: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એમસીડી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આવેલા એક્ઝીટ પોલ વિશે પ્રતિક્રિયા આપી. મનીષ સિસોદિયાએ દિલ્લી નગર નિગમના ચૂંટણીના પરિણામોની ઘોષણા પહેલા આપની ભારે જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યુ કે, 'આ જનાદેશ દિલ્લીથી આખા દેશને એક સંકેત હશે કે આમ આદમી પાર્ટી એક ખૂબ જ ઈમાનદાર પાર્ટી છે. ભાજપે મારી સામે ખોટા આરોપ લગાવ્યા, સત્યેન્દ્ર જૈન સામે ષડયંત્ર રચવામાં આવ્યુ. પરંતુ દિલ્લીના લોકોએ પોતાના જનાદેશથી સાબિત કરી દીધુ છે કે દિલ્લીમાં કોઈ કૌભાંડ નથી થયુ અને મારા પર ભાજપે લગાવેલા બધા આરોપ ખોટા, ષડયંત્ર અને ગંદી રાજનીતિથી પ્રેરિત હતા.'
મનીષ સિસોદિયાએ કહ્યુ કે, દિલ્લીની જનતા ભાજપના જૂઠાણા, ષડયંત્ર અને અપ્રમાણિકતાને ફગાવી દેશે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈમાનદારી અને કાર્ય આધારિત રાજનીતિ પસંદ કરશે. MCD ચૂંટણી માટે ભાજપે તેના ઘણા મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓને AAP વિરૂદ્ધ પ્રચાર કરવા માટે બોલાવ્યા પરંતુ જનતા તેમની કોઈ પડી ન હતી અને ભાજપની અપ્રમાણિકતાની રાજનીતિને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પર સિસોદિયાએ કહ્યું કે AAP રાજ્યમાં ભવ્ય એન્ટ્રી કરવા જઈ રહી છે. મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે, 'ગૌરવની વાત છે કે ગુજરાતના લોકોના પ્રેમને કારણે અમે 8મી ડિસેમ્બરે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા જઈ રહ્યા છીએ. ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ પાર્ટી ગુજરાતમાં રાષ્ટ્રીય પાર્ટી બની અને તે પણ માત્ર 10 વર્ષમાં, અરવિંદ કેજરીવાલની પ્રામાણિક રાજનીતિને કારણે. તેમણે કહ્યુ, 'હું દિલ્લીના નાગરિકોનો આભાર માનવા માંગુ છુ. અમને આશા છે કે આવનારા પરિણામો એક્ઝિટ પોલની આગાહી મુજબ હશે. ગુજરાત માટેના એક્ઝિટ પોલના પરિણામો પણ સકારાત્મક છે. એક નવી પાર્ટી ગુજરાતમાં પ્રવેશ કરશે અને જો અમે 15-20 ટકા વોટ મેળવવામાં સફળ થઈશુ તો ખૂબ જ સકારાત્મક પરિણામ આવશે. અત્યાર સુધી બધા કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે.
બાબાસાહેબ ડૉ.આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દિલ્લી વિધાનસભા પરિસરમાં એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ સારા પરિણામો મળ્યા અને દિલ્લીની જનતાએ ફરીથી આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કર્યો. ગુજરાતના પરિણામો અંગે અમે સકારાત્મક છીએ. અમારી પાસે નવી પાર્ટી છે. અમારી નવી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. એવુ કહેવામાં આવી રહ્યુ હતુ કે ગુજરાત ભાજપનો ગઢ છે. જો પહેલીવાર કોઈ પાર્ટીને 15 થી 20 ટકા વોટ શેર મળે તો તે મોટી વાત છે.