દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે
શિક્ષણ મંત્રાલયના નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા દ્વારા આયોજિત દૂન બુક ફેસ્ટિવલ ૨૦૨૬માં દૂન લિટ ફેસ્ટ યોજાયો છે. આ મહોત્સવ સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, આધ્યાત્મિકતા, સંરક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી જેવા વિષયો પર વાચકો, વિચારકો અને વાર્તાકારોને એકત્ર કરે છે. આ ફેસ્ટ વિવિધ વિચારોના આદાનપ્રદાન માટે સશક્ત પ્લેટફોર્મ બન્યો છે.
મહોત્સવના પ્રથમ દિવસે, તપાસ પત્રકાર જુપિન્દર સિંહે ભગત સિંહની ગુમ થયેલી પિસ્તોલની શોધ યાત્રા રજૂ કરી. લેખિકા અદ્વૈતા કાલાએ "બિટવીન ધ લાઈન્સ એન્ડ લેન્સ: સ્ટોરીઝ ઓફ ઈન્ડિપેન્ડન્ટ ઈન્ડિયા" સત્રમાં સ્વતંત્ર મહિલાના બદલાતા ખ્યાલની ચર્ચા કરી, ફિલ્મો, નવલકથાઓ, ટીવીના અનુભવો પણ શેર કર્યા.

બીજા દિવસે, વકીલ-લેખક બ્રિજેશ દેસાઈએ તેમના પુસ્તક "મોદીઝ મિશન" પર વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રારંભિક જીવન, શિક્ષણ-નેતૃત્વ યાત્રા વર્ણવી. નવલકથાકાર કુલપ્રીત યાદવે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઓછી જાણીતી કથાઓ રજૂ કરીને રાવ તુલા રામના શૌર્યને ઉજાગર કર્યું.
તે જ દિવસે, આધ્યાત્મિક ગુરુ આચાર્ય પ્રશાંતે તેમના સત્ર "ટ્રુથ વિથાઉટ એપોલોજી" માં સત્ય, સંબંધો અને સંતોષકારક જીવનના અર્થ અંગે ચર્ચા કરી. તેમનું સત્ર ખૂબ પ્રેરણાદાયક રહ્યું.
ત્રીજા દિવસે, પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીએ સિનેમા અને વાર્તા કહેવાની કળાના અનુભવો શેર કર્યા. તેમણે ફિલ્મો પ્રત્યેના પ્રારંભિક આકર્ષણ, કાશ્મીરમાં "રોકસ્ટાર" ના શૂટિંગનો અનુભવ અને દર્શકોની બદલાતી પસંદગીઓ વિશે વાત કરી.
ફેસ્ટિવલે પ્રાદેશિક સાહિત્યિક પરંપરાઓ પર પણ ભાર મૂક્યો. કવયિત્રી રૂચિ બહુગુણા ઉનિયાલ, અર્ચના ઝા, બુદ્ધિનાથ મિશ્રાએ એક કવિતા સત્રમાં ઉત્તરાખંડના કાવ્ય વારસાની ઝલક આપી. કુમાઉની-ગઢવાલી કૃતિઓના અનુવાદ પર કમલા પંત સહિતના વક્તાઓએ મહત્વ અને પડકારો ચર્ચ્યા.
આ લિટ ફેસ્ટ પ્રેરણાદાયક વાસ્તવિક જીવનના અનુભવો માટે પણ જાણીતો બન્યો છે. અવકાશયાત્રી, વાયુસેનાના ફાઈટર પાયલટ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નેશનલ બુક ટ્રસ્ટના ડિરેક્ટર યુવરાજ મલિક સાથે અવકાશ યાત્રાના વિચારો શેર કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.
અન્ય એક સત્રમાં, લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆએ નીરજ રાજપૂત સાથે નેતૃત્વ, નિર્ણય નિર્માણ અને આધુનિક સુરક્ષા પડકારો જેવા વિષયો પર ચર્ચા કરી.
આગામી સત્રો પણ એવી જ ઊંડાણ અને વિવિધતા જાળવી રાખવાનું વચન આપે છે. જેમાં સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુ પછીના જીવન, ૧૯૪૬ના નૌકાદળ વિદ્રોહ, તથા "રીડિંગ ઇન્ડિયા: હિસ્ટરી થ્રુ ઇટ્સ લિટરેચર" જેવા ઐતિહાસિક વિષયો પર ચર્ચાઓ થશે. આ સત્રો ઇતિહાસ અને રાષ્ટ્રીય ઓળખ પર નવા દ્રષ્ટિકોણ રજૂ કરશે.
"પેટ્રિયોટિઝમ એન્ડ રિવોલ્યુશન: સ્ટોરીઝ ફ્રોમ ઇન્ડિયાઝ પાસ્ટ" જેવા સત્રો પણ યોજાશે. નીતિન સેઠનું સત્ર "સ્માર્ટર મશીન્સ, વાઇઝર હ્યુમન્સ" મનુષ્ય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વચ્ચેના વિકસતા સંબંધોને ઊંડાણપૂર્વક તપાસશે.
વિવિધ અવાજો અને વિષયોને એકસાથે લાવીને, દૂન લિટ ફેસ્ટ ઇતિહાસનું પુનરાવલોકન, વિચારોને પડકારવા અને પેઢીઓ વચ્ચે જ્ઞાન વહેંચવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. આ એક સમૃદ્ધ અને આકર્ષક અનુભવ છે.












Click it and Unblock the Notifications
