ઇદઃ ક્યાંક નમાજમાં કાળી પટ્ટી, તો ક્યાંક વિવિધતામાં એક્તા..
ઇદ જેવા તહેવારના પ્રસંગે ભારતમાં વિવિધતામાં એક્તાના દર્શન થાય છે, તસવીરોમાં જુઓ દેશના જુદા-જુદા વિસ્તારોમાં ઇદની ઉજવણી અને ઉજવણીની તૈયારીઓ કઇ રીતે થાય છે.
સમગ્ર ભારત દેશ હર્ષોલ્લાસથી ઇદની ઉજવણી કરી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ટ્વીટર તમામ દેશવાસીઓને ઇદની શુભકાનાઓ પણ પાઠવી છે. ઇદ-ઉલ-ફિત્ર કે ઇદ-ઉલ-ફિતર એ મુસલમાનો માટે રમઝાન ઉલ-મુબારક માસ બાદ આવતો તહેવાર છે. ઇસ્લામી કેલેન્ડરના 10મા મહિનાના પહેલા દિવસ શવ્વાલના રોજ ઇદની ઉજવણી કરવામાં આવે છે.
નમાજ અને રોજા
રમઝાનના પાવન માસમાં નમાજ અને રોજાનું ખૂબ મહત્વ હોય છે. 1 મહિનાના રોઝા બાદ આ માસના અંતે ઇદની ઉજવણીમાં કરવામાં આવે છે. રમઝાન અને ઇદનો આ પર્વ લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. દિલ્હીના જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ જાહેરાત કરી હતી કે, ઇદનો ચાંદ રવિવારે દેખાયા બાદ સમગ્ર દેશમાં સોમવારે ધામધૂમથી ઇદની ઉજવણી થશે.
અહીં તસવીરોમાં જુઓ, ભારત દેશમાં ઇદની ઉજવણી અને ઇદની ઉજવણીની તૈયારીઓ કઇ રીતે થઇ રહી છે.
બિહારમાં વિવિધતામાં એક્તાના
ભારતમાં વિવિધ ધર્મના લોકો વસે છે અને તહેવારોમાં ભારતની વિવિધતામાં એક્તા છલકી ઉઠે છે. બિહારના કટિહાર માર્કેટમાં કંઇ આ રીતનો જ નજારો જોવા મળ્યો હતો. મુસલમાનોના આ પવિત્ર તહેવારમાં ખાસ મિઠાઇ સેંવઇ બનાવવામાં આવે છે. આ મિઠાઇ વેચનાર દુકાનદારથી માંડીને બનાવવાળો કંદોઇ, બધા જ હિંદુ છે. અહીં આ વર્ષે ઇદમાં ખાસ યોગી સેંવઇ બનાવવામાં આવી છે. લગભગ આખા બિહારના વેપારીઓ આ બજારમાંથી સેંવઇ ખરીદે છે અને વેચે છે.
|
હરિયાણામાં કાળી પટ્ટી બાંધીને થઇ નમાજ
દેશનો મુસ્લિમ સમુદાય હાલ નારાજ છે, અલગ-અલગ રાજ્યોમાં ભીડ દ્વારા મુસ્લિમ નાગરિકોની હત્યાના મુદ્દે આ નારાજગી છે. જેના વિરોધમાં રવિવારે અપીલ કરવામાં આવી હતી કે, લોકો ઇદના દિવસને કાળી પટ્ટી બાંધીને નમાજ પઢે. મુસ્લિમ સમુદાય તથા વિવિધ સંગઠનો દ્વારા આ માટે કેમ્પેન ચલાવવામાં આવ્યા હતા, જે હેઠળ હરિયાણાના બલ્લાભગઢના કંધ્વલીમાં લોકો કાળી પટ્ટી બાંધી નમાજ પઢતા જોવા મળ્યા હતા. પોતાના ગામમાં એક વ્યક્તિની ફાંસીનો વિરોધ કરવા માટે તેમણે કાળી પટ્ટી બાંધી હતી.
અમદાવાદઃ જામા મસ્જિદ
ઇદ નિમિત્તે અમદાવાદની જામા મસ્જિદ ખાતે કંઇક આવો નજારો જોવા મળ્યો હતો. જામા મસ્જિદ અમદાવાદની સૌથી જૂની મસ્જિદમાંની એક છે, જે બાદશાહ અહમદ શાહે વર્ષ 1424માં બનાવડાવી હતી. આ મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર અને તેમના પૌત્રની કબર છે અને નજીક જ અહમદ શાહની રાણીઓની કબર પણ છે, જે 'રાણીના હજીરા' તરીકે ઓળખાય છે.
જમ્મુ કાશ્મીર
શુક્રવારે શ્રીનગરની જામિયા મસ્જિદ બહાર ડીએસપી મોહમ્મદ અયૂબ પંડિતની ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી, જે પછી અહીં ખૂબ તાણવાળી પરિસ્થિતિ છે. મીડિયાના અહેવાલો અનુસાર પોલીસે નાગરિકો સહિત પોલીસ કર્મચારીઓને પણ સાર્વજનિક સ્થળે ઇદની નમાજ ન પઢવાની સલાહ આપી છે. આ બધા વચ્ચે શનિવારે ઇદ શ્રીનગરના ઘોનીખાન બજારમાં મુસ્લિમ મહિલાઓ ઇદની ખરીદી કરતી નજરે પડે હતી. આ ઉપરાંત શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં પણ ઇદની ખરીદી માટે મોટી ભીડ જોવા મળી હતી.
કલકત્તાની નાખોદા મસ્જિદ
ઇદ પહેલાં કલકત્તાની નાખોદા મસ્જિદનું આ દ્રષ્ય જોવા મળ્યું હતું. બુરાબાઝારમાં આવેલ આ નાખોદા મસ્જિદ કલકત્તાની મુખ્ય મસ્જિદ મનાય છે. આ મસ્જિદ વર્ષ 1926માં બની હતી અને તે સમયે આ મસ્જિદના નિર્માણના ખર્ચ રૂ.15 લાખ આવ્યો હતો.
જબલપુર
મધ્ય પ્રદેશના જબલપુરમાં ઇલ-ઉલ-ફિતરની આગલી રાત્રે સુરક્ષા દળો કંઇક આ રીતે જોવા મળ્યા હતા. રેપિડ એક્શન ફોર્સના કર્મચારીઓ રસ્તા પર ફ્લેગ માર્ચ કરતા જોવા મળ્યા હતા.