એકનાથ શિંદેના મળેલા પાર્ટી ચિન્હથી શીખ સમુદાયમાં રોષ, જાણો સમગ્ર વિવાદ
શિવસેનામાં બે ફાંટા થયા બાદ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે પાર્ટી ચિન્હ અને નામ માટે આમનેસામને આવી ગયા હતા. બંને જૂથ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, તેમનું જૂથ સાચી શિવસેના છે.
શિવસેનામાં બે ફાંટા થયા બાદ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે પાર્ટી ચિન્હ અને નામ માટે આમનેસામને આવી ગયા હતા. બંને જૂથ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, તેમનું જૂથ સાચી શિવસેના છે. આ વિવાદ વચ્ચે ચૂંટણીપંચ દ્વારા બંન્ને જૂથ પાસે નવા ચિન્હ અને નામો મંગાવવામાં આવ્યા હતા.

જે બાદ બંને પક્ષના વિકલ્પો મળ્યા બાદ તેમને અલગ-અલગ નામ અને ચિન્હ આપ્યા હતા. જોકે, આ સ્થાઇ નથી પણ પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને જૂથને નામ અને ચિન્હ આપવામાં આવ્યા છે. એકનાથ શિંદે જૂથને તલવાર અને ઢાલનું ચિન્હ આપવામાં આવ્યું હતું. જે બાદ આ ચિન્હ મુદ્દે શીખ સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
શીખ સમુદાયે તલવાર અને ઢાલના પ્રતીક સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, તે ખાલસા પંથનું ધાર્મિક પ્રતીક છે. આ અગાઉ સમતા પાર્ટીએ ઉદ્ધવ ઠાકરે કેમ્પને મસાલ ચૂંટણી ચિન્હ આપવાનો વિરોધ કર્યો હતો. ગુરુદ્વારા સાખચંદ બોર્ડ નાંદેડના પૂર્વ સચિવ રણજીત સિંહ કામથકર અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ પણ આ અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ તલવાર અને ઢાલ ધાર્મિક પ્રતીક છે. જો ચૂંટણીપંચ તેની નોંધ નહીં લે તો અમે તેની સામે કોર્ટમાં જઈશું. આપણા ધાર્મિક ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહે તેને ખાલસા પંથના ધાર્મિક પ્રતીક તરીકે અપનાવ્યું હતું.
કામથકરે જણાવ્યું હતું કે, હું ચૂંટણી પંચના ધ્યાન પર લાવવા માંગુ છું કે, શિંદે કેમ્પને આપવામાં આવેલું પ્રતીક પણ ધાર્મિક છે. મને આશા છે કે, ચૂંટણીપંચ તેની નોંધ લેશે. ઉલ્લેખનીય છે કે, અંધેરી પૂર્વ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં શિવસેનાની બંને છાવણી આમને-સામને છે. આ બેઠક પર બંને છાવણી પોતપોતાની દાવેદારી કરી રહી છે. આવી સ્થિતિમાં હવે જોવું એ રહ્યું કે, આ ચૂંટણી ચિન્હના વિવાદને ધ્યાને લે છે કે કેમ.












Click it and Unblock the Notifications
