વરસાદ ચાલુ હોવા છતા રાહતકાર્ય જારી, 20 હજાર હજી ફસાયેલા
ગુપ્તકાશી/દેહરાદૂન, 23 જૂન : ઉત્તરાખંડમાં આવેલા પૂર બાદ તેમાં ફસાયેલા હજારો લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવકાર્ય થોડીવાર ખોટકાઇ હતી, પરંતુ જ્યાં હવામાન સાફ છે ત્યાંથી લોકોને નિકાળી લેવામાં આવ્યા છે.
બીજી તરફ સેનાના જવાન અને બીજા બચાવદળો લોકોને રોડ થકી હેમખેમ નીકાળવામાં લાગ્યા છે. મૌસમ વિભાગે સોમવારે ભારે વરસાદનું પૂર્વાનુમાન લગાવ્યું છે.
ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં મરનારાઓની સંખ્યા 680 સુધી પહોંચી ગઇ છે. મુખ્યમંત્રી વિજય બહુગુણાએ કહ્યું કે હવે જે રીતે મૃતદેહો મળી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખતા એવું લાગી રહ્યું છે કે મૃત્યું પામનારા લોકોનો આંકડો એક હજાર સુધી પહોંચી શકે છે.
રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં આજે હળવો વરસાદ પણ થયો હતો. ખાસકરીને ગુપ્તકાશીમાં સવારે હવામાન વાદળછાયું હતું, પરંતુ બાદમાં હવામાન સાફ થઇ ગયું હતું. આશંકા છે કે 24 કલાક બાદ આ વિસ્તારોમાં એકવાર ફરી વરસાદ થઇ શકે છે. માટે કહી શકાય કે બચાવ કામગીરી માટે આવનાર 24 કલાક મહત્વપૂર્ણ છે. શનિવારે કેદારનાથ મંદિર પરિસરથી 123 મૃતદેહોને નિકાળવામાં આવ્યા.