સામાન્ય રીતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઇ જાહેર સભાને સંબોધે છે, ત્યારે પોતાના વિકાસ એજન્ડાને લોકોની સામે રજૂ કરે છે અને કોંગ્રેસની નીતિઓ પર પ્રહાર કરે છે. જ્યારે તેઓ કોંગ્રેસ પર પોતાના શાબ્દિક બાણોનો મારો ચલાવે છે, ત્યારે તેમના નીશાના પર ખાસ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ હોય છે, પરંતુ આજે જ્યારે તેમણે જમ્મુ કાશ્મીરમાં રેલી સંબોધી ત્યારે તેમના નીશાના પર માત્ર કોંગ્રેસના આ નેતાઓ જ નહોતા પરંતુ આ વખતે તેમના શબ્દ બાણોએ નવો શિકાર પણ શોધી લીધો હતો.
મોદીએ જમ્મુ કાશ્મીરમાં રેલી સંબોધતી વખતે પોતાના નવા રાજકીય શિકાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બનવ્યા છે. સભા દરમિયાન મોદીએ અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ કર્યા વગર પ્રહાર કર્યા હતા અને તેમને પાકિસ્તાનન એજન્ટ ગણાવ્યા હતા. મોદીએ અરવિંદ કેજરીવાલને AK 49 કહીંને સંબોધ્યા હતા, કારણ કે દિલ્હીમાં કેજરીવાલની સરકાર માત્ર 49 દિવસ જ ચાલી હતી.
મોદી દ્વારા આ રીતે પહેલીવાર જાહેરમાં કેજરીવાલ પર પ્રહાર કરવા પાછળનું કારણ એ પણ હોઇ શકે છે, કે જ્યારથી અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત કરી છે ત્યારથી તેઓ મોદીના વિકાસના દાવા ખોટા હોવાનું કહીં રહ્યાં છે, જ્યારે બીજી તરફ મોદી દેશમાં ગુજરાતમાં થયેલા વિકાસ જેવો વિકાસ કરવાની વાતો કરે છે. જે રીતે દિલ્હીમાં કેજરીવાલની અવગણના ભાજપ દ્વારા કરવામાં આવી હતી, તે રીતે તેઓ આ વખતે કેજરીવાલને પણ ગંભીરતાથી લઇ રહ્યા હોવાનું ફલિત થઇ રહ્યું છે.
કેજરીવાલે વારાણસીથી લડવાની જાહેરાત કર્યા બાદ મોદી પ્રહાર
નોંધનીય છે કે, નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ દ્વારા વારાણસીમાં ગઇ કાલે સભા સંબોધીને પોતે મોદી સામે ચૂંટણી લડી રહ્યાં હોવાનું જાહેર કર્યા બાદ આ રીતે જાહેર સભામાં કેજરીવાલને પણ આડા હાથે લઇ રહ્યાં છે. મોદીની આ પહેલી સભામાં જ મોદીએ કેજરીવાલને પાકિસ્તાનના એજન્ટ ગણાવી દીધા છે, ત્યારે આગામી સભાઓમાં મોદીના પ્રહારો વધુ તેજ અને આકરા બની શકે છે.
પાકિસ્તાન પાસે ત્રણ AK
આજકાલ પાકિસ્તાનને ત્રણ સિપાઇ સાલાર મળી ગયા છે, જેની પાકિસ્તાનમાં વાહવાહી છે, પાકિસ્તાનમાં તેમના નિવેદનોને કોટ કરવામાં આવે છે. આ ત્રણ કોણ છે. ત્રણ AK છે, એક છે AK 47. તેના ભરોસે, હિન્દુસ્તાનની ધરતીને લોહીલુહાણ કરવાના કામ થાય છે, બીજા AK એન્ટોની, ભારતના રક્ષા મંત્રી. તે સંસદમાં એવા નિવેદન આપે છે, જવાનોના માથા કાપનારા સેનાનો યુનિફોર્મ પહેરીને આવ્યા છે, તેથી પાકિસ્તાન પાસે AK 47 હતી હવે AK એન્ટોનીનો સાથ છે.
AK 49, પાકિસ્તાનના એજન્ટ
ત્રીજા છે AK 49. AK 49એ હમણા જ એક પાર્ટીને જન્મ આપ્યો અને તેમની પાર્ટીની વેબસાઇટમાં તેમણે જે નકશો રાખ્યો છે તેમાં પાકિસ્તાનને કાશ્મીર આપી દીધું છે. આ AK 49ના નજીકના સાથી કહી રહ્યાં છે કે જનમત સંગ્રહ થવો જોઇએ અને પાકિસ્તાન તેના નિવેદનોથી નાચી રહ્યું છે. મારું માનવું છેકે AK પાકિસ્તાનના એજન્ટ, હિન્દુસ્તાનના દુશ્મન. જે કાશ્મીર માટે શ્યામા પ્રસાદ મુખરજીએ બલિદાન આપ્યું, જવાનો શહીદ થયા તેમના માટે પાકિસ્તાની ભાષા બોલી રહ્યાં છો, તેથી પાકિસ્તાનને AKથી લાભ થઇ રહ્યો છે, તેમને જાણવાની જરૂર છે.
આ પહેલા એકપણ સભામાં મોદીએ નહોતો કર્યો પ્રચાર
દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અને લોકસભા ચૂંટણીમાં સક્રિય થયા બાદ અરવિંદ કેજરીવાલ જ્યારે પણ પત્રકારોને સંબોધે છે અથવા તો રેલી કરે છે, ત્યારે તેમાં મોદીને ટાર્ગેટ બનાવે છે, પરંતુ બીજી તરફ નરેન્દ્ર મોદીએ આજે રેલી સંબોધી એ પહેલા જેટલી પર રેલી કરી તેમાં તેમણે ક્યારેય આડકતરી રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે અરવિંદ કેજરીવાલને નીશાન બનાવ્યા નહોતા.
કેજરીવાલના મોદી પર સતત પ્રહાર
લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની અસર પ્રસ્થાપિત કરવા માટે અરવિંદ કેજરીવાલ દ્વારા તમામ પ્રકારના હથકંડા અપનાવવામાં આવી રહ્યાં છે. સતત સમાચારમાં રહેવા માટે તેઓ ક્યારેક મીડિયા પર પણ પ્રહાર કરતા અચકાતા નથી. ગુજરાતમાં ચાર દિવસની યાત્રા કરીને આવ્યા બાદ અને ગુજરાતમાં તેમની સાથે જે ઘટ્યું એ તમામ બાબતોને લઇને અરવિંદ કેજરીવાલ જ્યાં તક મળે ત્યાં મોદી પર પ્રહાર કરવાનું ચૂકી રહ્યાં નથી. ગુજરાતમાં વિકાસ થયો નથી, મોદી વિકાસની ખોટી વાતો કરે છે, અંબાણી અને અદાણી ગુજરાતને ચલાવે છે તેમ કહીં તેઓ સતત મોદીને નીશાન બનાવતા જોવા મળ્યા છે.