રાજ્ય સરકારે શહીદની મદદ ન કરતાં આખરે કેન્દ્રએ ઝાલ્યો હાથ
કર્ણાટક સરકાર તથા મુખ્યમંત્રી સિદ્દારમૈયા દ્વારા શહીદ હનુમાનથપ્પાના પત્ની મહાદેવી કોપ્પડને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ વાયદાના એક વર્ષ બાદ પણ તેમને કોઇ નોકરી આપવામાં નહોતી આવી.
બહાદુર શહીદ હનુમાનથપ્પા કોપ્પડના મૃત્યુ બાદ કર્ણાટક સરકાર તથા મુખ્યમંત્રી દ્વારા હનુમાનથપ્પાના પત્ની મહાદેવી કોપ્પડને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ વાયદાને એક વર્ષ વીત્યા બાદ પણ મહાદેવી કોપ્પડને સરકાર તરફથી કોઇ નોકરી આપવામાં નહોતી આવી. મહાદેવીને ન્યાય મળે અને કર્ણાટક સરકારને તેમના વાયદાઓ યાદ આવે એ માટે વનઇન્ડિયા દ્વારા એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું.
આખરે વનઇન્ડિયા કેમ્પેન ની મહેનત રંગ લાવી છે, સરકારે મહાદેવીને કરેલા વાયદાઓ પૂરા કરવાનું બીડું કેન્દ્ર સરકારે ઝડપ્યું છે. કર્ણાટક સરકાર તથા મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ નેશનલ ટેલિવિઝન પર આ અંગે જાહેરાત કરી હતી. જે અનુસાર મહાદેવી કોપ્પડ કે પરિવારના અન્ય કોઇ સભ્યને સરકાર તરફથી નોકરી અને વળતર આપવા સરકાર બંધાયેલી છે. હનુમાનથપ્પાના પરિવારને વળતર તો મળ્યું, પરંતુ નોકરીનો વાયદો અધૂરો રહ્યો. આખરે કેન્દ્ર સરકારે આ મામલે ઝંપલાવતા નોકરીની વાત આગળ વધી છે.
સ્મૃતિ ઇરાનીનો પ્રસ્તાવ
કેન્દ્રિય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની એ આ મામલે ઝંપલાવ્યું છે, તેમણે મહાદેવીને હુબલી ખાતે સેન્ટ્રલ સિલ્ક બોર્ડની ઓફિસમાં નોકરીનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વનઇન્ડિયાના કેમ્પેન બાદ કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી સહિત અનેક લોકોએ નોકરી માટે મહાદેવીનો સંપર્ક કર્યો હતો.
કર્ણાટક સરકારના વાયદાઓ
સિદ્દારમૈયા તરફથી મહાદેવીને નોકરી, સાઇટ અને જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. સાથે જ તેમણે હુબલી મેઇન રોડનું નામ બદલીને હનુમાનથપ્પા કોપ્પડ રોડ કરવાનો તથા તેમના ગામમાં હનુમાનથપ્પાની પ્રતિમા મુકવાનો પણ વાયદો કર્યો હતો. વળતર રૂપે પૈસા તથા જમીન પરિવારને સમયસર આપવામાં આવ્યા હતા, પરંતુ નોકરીનો વાયદો પૂરો કરવામાં સરકારે વધુ પડતો સમય લગાડ્યો હતો.
મહાદેવી કોપ્પડનું નિવેદન
મહાદેવીએ આ અંગે વાત કરતાં વનઇન્ડિયાને જણાવ્યું હતું કે, અહીંના ધારાસભ્ય ખૂબ મદદરૂપ છે. શહીદના પરિવાર માટે તેમની પાસે પૂરતો સમય અને ધીરજ છે. હું સમજી શકું છે, કે સરકાર પાસે અનેક કામો છે. મને વિશ્વાસ છે કે, સરકાર મને ચોક્કસ નોકરી આપશે, હું રાહ જોઇશ. તેમણે કેમ્પેનની શરૂઆતમાં આ નિવેદન આપ્યું હતું. જો કે, તેમનો રાહ જોવાનો ગાળો લંબાતો જ ગયો.
અહીં વાંચો - જ્યારે 16 વર્ષીય ગાયત્રીએ PM સમક્ષ વ્યક્ત કર્યો પોતાનો રોષ...
આખરે મહાદેવીએ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા આપવામાં આવેલી નોકરી સ્વીકારી છે અને સોમવારથી તેઓ પોતાની નવી નોકરી પર હાજર થયા છે.