ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આઈ. કે. ગુજરાલનું નિધન
ભારતીય વિદેશ સેવાના અધિકારી રહી ચૂકેલા ગુજરાત બે વખત વિદેશમંત્રી રહી ચૂક્યા છે અને એપ્રિલ 1997થી માર્ચ 1998 સુધી તેઓ દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા. આ પહેલા વિશ્વનાથ પ્રતાપસિંહ તેમજ એચડી દેવગૌડાની સરકારોમાં વિદેશમંત્રી રહી ચૂક્યા હતા. જનતા દળમાં સામેલ થયા પહેલા ગુજરાલ કોંગ્રેસના સભ્ય હતા અને મંત્રિમંડળમાં વિભિન્ન હોદ્દા પર રહ્યા.
ઇન્દ્ર કુમાર ગુજરાલના સમ્માનમાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવાઇ હતી. લોકસભામાં આની જાણકારી આપતા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું હતું કે મને એ કહેતા દુ:ખ થઇ રહ્યું છે કે ભુતપૂર્વ પ્રધાનમંત્રી આઇ કે ગુજરાલનું નિધન થયું છે. ત્યારબાદ પીઠાસીન અધ્યક્ષ ઇંદરસિંહ નામધારીએ ગૃહની કાર્યવાહીને દિવસ માટે સ્થગિત કરી દીધી હતી.
ડૉક્ટરોની એક ટીમ સતત તેમનું ઑબ્જર્વેશન કરી રહી હતી. ડૉક્ટરોનું કહેવું છે કે ગુજરાલને ભયંકર ઇન્ફેક્શન થયું હતું. તેમણે તેમના બચવા પર પણ શંકા વ્યક્ત કરી હતી. ઇંદ્રકુમાર ગુજરાલની ઉંમર 92 વર્ષની હતી. તેમને ગત 19મી નવેમ્બરના રોજ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
ગુજરાલ છેલ્લા એક વરસથી ડાઇલિસિસ પર હતાં. ગુજરાલની હાલત સતત કથળતી જઇ રહી હતી અને દવાઓ પણ તેમની પર અસર કરી રહી ન્હોતી. તેમની કિડનીઓ પણ કામ નથી કરતી.
મંગળવારે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને સમાજવાદી પક્ષના સાંસદ રામ ગોપાલ યાદવ ગુજરાલને જોવા હૉસ્પિટલે પહોંચ્યાં હતા, તો બુધવારે કોંગ્રેસના પ્રવક્તા શકીલ અહમદ પોતાના સહયોગીઓ સાથે હૉસ્પિટલે જઈ ગુજરાલને જોવા ગયા હતાં.
નોંધનીય છે કે તેમની સારવાર દરમિયાન સોશિયલ સાઇટ્સ પર ગુજરાલના અવસાનના સમાચારો અફવાઓ તરીકે વહેતા થયાં હતા. આ અફવાઓના ચક્કરમાં વિકીપીડિયા સુદ્ધા આવી ગયું હતું. વિકીપીડિયાએ પણ ગુજરાલના પ્રોફાઇલમાં ગુજરાલના નામની આગળ 4 ડિસેમ્બર, 1919થી 30 નવેમ્બર, 2012 લખી નાંખ્યું હતું. જોકે પછીથી વિકીપીડિયાએ આ ભુલ સુધારી લીધી હતી. ફેસબુક અને ટ્વિટર પર અગાઉ પ્રાણ વિશે પણ આવી અફવાઓ ચલાવાઈ હતી અને આજે ગુજરાલને શ્રદ્ધાંજલિ અર્પવાનો પ્રવાહ શરૂ થયો હતો.