કોવિડ વેક્સીનથી થયેલા મોત માટે સરકાર જવાબદાર નથીઃ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ
કેન્દ્ર સરકારે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યુ કે કોવિડ રસીકરણના પ્રતિકૂળ પ્રભાવ માટે સરકારને જવાબદાર ના ગણી શકાય.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યુ કે કોવિડ રસીકરણના પ્રતિકૂળ પ્રભાવ માટે સરકારને જવાબદાર ના ગણી શકાય. કેન્દ્રએ કહ્યુ કે રસીના કારણે મૃત્યુ થયુ હોય તેવા કિસ્સામાં દિવાની અદાલતમાં કેસ દાખલ કરીને વળતરની માંગ કરવી જ એક માત્ર ઉપાય છે. ગયા વર્ષે કોવિડ રસીકરણ બાદ બે યુવતીઓના મૃત્યુ થઈ ગયા બાદ તેમના માતા-પિતાએ દાખલ કરેલી અરજીના જવાબમાં કેન્દ્રએ આ એફિડેવિટ દાખલ કરી છે.
અરજીમાં રસીકરણ બાદ થતા પ્રતિકૂળ પ્રભાવો(AEFI) વિશે જાણવા અને સમયે ઉપચાર માટે એક પ્રોટોકૉલ તૈયાર કરવા માટે મોતની સ્વતંત્ર તપાસ અને એક વિશેષજ્ઞ ચિકિત્સા બોર્ડની માંગ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે અરજીનો જવાબ આપતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, 'AEFIને કારણે રસીના ઉપયોગથી થતા અત્યંત દુર્લભ મૃત્યુ માટે કડક જવાબદારીના સંકુચિત દાયરામાં રાજ્યને વળતર પૂરુ પાડવાનુ કાયદેસર રીતે ન્યાયી ઠેરવી શકાય નહિ.
બે મૃત્યુ માટે શોક વ્યક્ત કરતાં કેન્દ્રએ કહ્યુ કે માત્ર એક જ કેસમાં રાષ્ટ્રીય AEFI સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મૃત્યુનુ કારણ રસી સંબંધિત AEFI હોવાનુ જણાયુ હતુ. વળતર માટે અરજીની પ્રાર્થનાને નકારી કાઢતા મંત્રાલયે કહ્યુ, 'જો કોઈ વ્યક્તિને AEFI દ્વારા શારીરિક ઈજા અથવા મૃત્યુ થાય તો કાયદેસર રીતે યોગ્ય ઉપાયો રસીના લાભાર્થીઓ માટે તેમના પરિવારો માટે ખુલ્લા છે, જેમાં નુકસાની/વળતરના દાવાઓ માટે સિવિલ કોર્ટનો સંપર્ક કરવાનો સમાવેશ થાય છે.
કેન્દ્રએ એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને કહ્યુ કે કોવિડ રસીકરણ અભિયાન હેઠળ ઉપયોગમાં લેવાતી કોરોના રસી ત્રીજા પક્ષકારો દ્વારા બનાવવામાં આવે છે. આને સલામત અને અસરકારક ગણવામાં આવે છે. કેન્દ્રએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કોવિડ-19 રસી મેળવવા માટે કોઈ કાયદાકીય ફરજ નથી. જેની ઈચ્છા હોય અને જે સુરક્ષિત અનુભવે છે તેણે રસી લેવી જોઈએ. મંત્રાલયે કહ્યુ કે રસીકરણ હેઠળ ઉપયોગમાં લેવાતી રસી કોઈ બીજા દ્વારા બનાવવામાં આવે છે. ભારતમાં તેમજ અન્ય દેશોમાં તેની સમીક્ષા કરવામાં આવે છે અને પછી તેને સલામત અને અસરકારક ગણવામાં આવે છે.