પંજાબના સીએમ ભગવંત માનની ચેતવણી, ફી રેગ્યુલેશનનુ ઉલ્લંઘન કરવા પર સ્કૂલોની NOC થશે રદ
પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે રાજ્યની સરકારી શાળાઓને 'સ્કૂલ ઑફ એમિનન્સ' બનાવવાની જાહેરાત કરી છે.
ચંદીગઢઃ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે રાજ્યની સરકારી શાળાઓને 'સ્કૂલ ઑફ એમિનન્સ' બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યુ કે પંજાબ સરકાર શૈક્ષણિક સુધારા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યુ કે શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લેક્ચરરને મળતા પગાર અંગે સીએમ માને જણાવ્યુ હતુ કે લેક્ચરરનો પગાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર હશે.
ખાનગી શાળાઓમાં ફી રેગ્યુલેશન
નોંધનીય છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ AAPની સરકાર છે. AAP તેની શાળાઓમાં થયેલા પરિવર્તનને મોટી સફળતા તરીકે જાહેર કરે છે. પાર્ટીનો દાવો છે કે દિલ્હીની ફોર્મ્યુલાથી પ્રેરિત પંજાબની સરકારી શાળાઓમાં પણ સકારાત્મક ફેરફારો કરવામાં આવશે. વિધાનસભામાં સીએમ ભગવંત માને કહ્યુ કે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યુ કે ખાનગી શાળાઓમાં ફી નિયમન જરૂરી છે.
રદ થશે સ્કૂલની એનઓસી
સીએમ માને ખાતરી આપી હતી કે ખાનગી શાળાઓએ 2016ના ફી કાયદા હેઠળ ચાલવુ પડશે. જો આમ કરવામાં નિષ્ફળ જશે તો શાળાઓ પર એક લાખનો દંડ થશે. નિયમોના ભંગ અને મનસ્વી રીતે ફી વધારાની ફરિયાદ સાચી જણાશે તો શાળાઓની એનઓસી રદ કરવામાં આવશે.
19 નવા ITIમાં ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ
તેમણે કહ્યુ કે ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સરકાર ટેકનિકલ શિક્ષણ પર પણ ભાર આપી રહી છે. સીએમ માનના જણાવ્યા અનુસાર પંજાબ સરકાર ટેકનિકલ શિક્ષણ માટે 19 નવી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)ની સ્થાપના કરી રહી છે. તેમણે કહ્યુ કે માંગ મુજબ ટેકનિકલ સંસ્થાઓમાં 44 નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે મંથન કરવામાં આવી રહ્યુ છે.
બિનશૈક્ષણિક કાર્યો માટે અલગ ટ્રેનિંગ
માનના જણાવ્યા અનુસાર પંજાબની સરકારી શાળાઓમાં પ્રાથમિક પ્રશિક્ષિત શિક્ષક (5994) અને પૂર્વ પ્રાથમિક શિક્ષક (8393)ની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યુ કે શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તનની મોટી નિશાની એ પણ હશે કે શિક્ષકોને માત્ર શિક્ષણ કાર્યમાં જ ફરજ મળશે. અધ્યાપન કાર્ય ઉપરાંત શાળાના કામ માટે અલગ કેડરની રચના કરવામાં આવશે.