ધક ધક ધક... ચોંકાવનારા હશે પરિણામો! કોણ સજશે ‘સોળે શણગાર’?
અમદાવાદ, 15 મે : ધક ધક ધક.... હૃદયના ધબકારા વધતા જાય છે. પલ્સ રેટ કાબૂમાં નથી. કાપ્યે કપાઈ નથી રહી ઘડી. મત નાંખ્યે દિવસો વીતી ગયા, પરંતુ હવે પરિણામની ઇંતેજારી સહેવાતી નથી. આ કોઈ એક વ્યક્તિના દિલની વાત નથી. આવી હાલત ગુજરાત સહિત આખા દેશના લોકોની છે અને તેમાં મતદાન કરનારાઓ જ નહીં, પણ મતદાન નહીં કરનારાઓનો પણ સમાવેશ થાય છે. બધાને તાલાવેલી છે કે ક્યારે સોળમી મેનો સૂરજ ઉગે અને ઘડિયાળમાં 8 વાગે.
લોકસભા ચૂંટણી 2014 પૂર્ણ થઈ છે અને 16મી મે શુક્રવારના રોજ સવારે 8 વાગ્યે મતગણતરી થવાની છે. નવ તબક્કામાં મતદાન પુરૂ થયું છે અને હવે પરિણામોને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા, ઉત્સુકતા અને ઉત્સાહ છે. લોકો આતુર છે 16મીની સવારને લઈને. લોકોના હૃદયના ધબકારા વધી ગયાં છે કે 16મીએ કોણ જીતશે? કોણ સજશે સોળે શણગાર? શું નરેન્દ્ર મોદી બની શકશે વડાપ્રધાન? કે પછી દેશમાં નેવુના દાયકા જેવી રાજકીય અસ્થિરતા સર્જાશે? દેશમાં ભાજપ, એનડીએ અને નરેન્દ્ર મોદી અંગે જાણવા લોકો ઉત્સુક છે, તો ગુજરાતમાં પણ આ વખતે ગુજરાતની 26 બેઠકો કરતાં દેશની પરિસ્થિતિ વિશે જાણવાનો ઉત્સાહ વધુ છે.
જોકે તમામ એક્ઝિટ પોલ ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના એનડીએને બહુમતી આપી રહ્યાં છે અને આ તમામ એક્ઝિટ પોલ સ્પષ્ટ રીતે સંકેત આપે છે કે નરેન્દ્ર મોદી જ ભારતના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે, પરંતુ આમ છતાં લોકોના હૃદયના ધબકારા વધી ગયાં છે, કારણ કે અસલ પરિણામ તો કાલે જ આવવાના છે. લોકોના ધબકાર વધવાનું વધુ એક કારણ આ એક્ઝિટ પોલ પણ છે અને તેમાં પણ ખાસ તો બે એવા એક્ઝિટ પોલ છે કે જેમના તારણો બાકીના તમામ એક્ઝિટ પોલના સરેરાશ કરતા કંઇક અલગ જ તરી આવે છે.
સર્વવિદિત છે કે ગત 12મી મેના રોજ છેલ્લા તબક્કાના મતદાન બાદ દેશના ઘણા મીડિયા હાઉસોએ એક્ઝિટ પોલ જાહેર કર્યા હતાં અને બે એક્ઝિટ પોલ સિવાયના તમામ એક્ઝિટ પોલના તારણો લગભગ સરખા હતાં એટલે કે એનડીએને બહુમતી આપતા હતાં, પરંતુ આ બે એક્ઝિટ પોલના તારણો ચોંકાવનારા હતાં. આ બે એક્ઝિટ પોલના તારણો એવા હતાં કે જેમાંનો એક સાચો પડે, તો નરેન્દ્ર મોદી બાદશાહ બની જાય અને બીજો સાચો પડે, તો એ જ નરેન્દ્ર મોદીએ કાકલુદીઓ કરી સરકાર બનાવવી પડે.
ચાલો સ્લાઇડર સાથે ખુલાસો કરીએ એ બે અનોખા એક્ઝિટ પોલ વિશે અને જોઇએ કે પરિણામો કેમ ચોંકાવનારા હોઈ શકે :
એક્ઝિટ પોલના સામાન્ય તારણો
દેશમાં ગત 12મી મેના રોજ મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલમાં મોટાભાગનાના તારણો એક સરખા હતાં. એટલુ જ નહીં, ગઈકાલે આવેલા વધુ એક એક્ઝિટ પોલમાં પણ કંઇક આવુ જ તારણ હતું. આમ તમામ એક્ઝિટ પોલમાં એનડીએને સરેરાશ 279 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે.
મોદીનું વડાપ્રધાન બનવું નક્કી
આમ દેશના મોટાભાગના એક્ઝિટ પોલ મુજબ એનડીએ બહુમતી મેળવી લેશે અને નરેન્દ્ર મોદી જ આગામી વડાપ્રધાન બનશે.
તો મોદી બનશે બાદશાહ
12મી મેના રોજ એક એક્ઝિટ પોલ એવો પણ હતો કે જે એનડીએને 340 બેઠકો આપતો હતો. ન્યુઝ 24+ચાણક્યનો આ એક્ઝિટ પોલ જો સાચો પડે, તો નરેન્દ્ર મોદી બાદશાહ બની જશે, કારણ કે આ એક્ઝિટ પોલ મુજબ એકલા ભાજપને જ 291 બેઠકો મળશે કે જે સમ્પૂર્ણ બહુમતી ગણાશે.
આવું થાય તો ફિયાસ્કો
બીજી બાજુ ટાઇમ્સ નાઉ+ઓઆરજીનો એક્ઝિટ પોલ નરેન્દ્ર મોદીની ઉંઘ ઉડાડી રહ્યો છે. આ એક્ઝિટ પોલે એનડીએને માત્ર 249 બેઠકો મળવાની શક્યતા દર્શાવી છે અને આમ મોદીએ 272નો આંકડો મેળવવા નવા સાથી પક્ષો સામે કાકલુદીઓ કરવી પડે.
પરિણામો ચોંકાવનારા રહેશે
તમામ એક્ઝિટ પોલ અને આ બે એક્ઝિટ પોલનું સરેરાશ 283 થાય છે. એટલે કે એનડીએને સરેરાશ 283 બેઠકો તમામ એક્ઝિટ પોલના તારણમાં દર્શાવાઈ છે, પરંતુ પરિણામો આના કરતાં પણ ચોંકાવનારા હોઈ શકે, કારણ કે જ્યારે એક-એક બેઠકની મતગણતરી થશે, ત્યારે જ ઘણુ બધુ ગણિત પલટાઈ શકે છે. શક્ય છે કે તમામ એક્ઝિટ પોલોને ઓળંગી નરેન્દ્ર મોદી કંઇક નવો જ ઇતિહાસ રચે અને એવું પણ બને કે એનડીએ સાથે 2004વાળી થઈ જાય.