નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સ્વામીની અરજી નકારી
આજે દિલ્હી કોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસની દાખલ કરવામાં આવેલી અરજી અંગે સુનવણી થઇ છે. બચાવ પક્ષના વકીલે સ્વીમીની અરજી પર ઘણા પ્રશ્નો કર્યા છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આજે નેશનલ હેરાલ્ડ કેસની સુનવણી થઇ હતી. આ મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા એક એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી હતી, જે અંતર્ગત કોંગ્રેસ પાર્ટી અને એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ પાસે દસ્તાવેજો અને ખાતાવહીની માંગ કરવામાં આવી હતી. સ્વામીએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ પર ખોટી રીતે અધિકાર જમાવ્યો છે.
બચાવ પક્ષના વકીલનું કહેવું છે કે, સ્વામીએ જુલાઇ 2013માં અરજી દાખલ કરી હતી, જેમાં કોંગ્રેસ પાસેથી લોન લીધી હોવાની સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા સ્વામીજીની અરજી નકારવામાં આવી છે અને હવે આ કેસની સુનવણી 10 ફેબ્રૂઆરીના રોજ થશે. આ દિવસે સ્વામીજીએ પોતાના પુરાવાઓની આખી યાદી કોર્ટને સોંપવાની રહેશે.
બચાવ પક્ષનું કહેવું છે કે, સ્વામીએ કોંગ્રેસને આરોપી તરીકે રજૂ નથી કર્યા અને ના તો તેમણે એવી કોઇ રજૂઆત કરી છે કે કોઇ અધિકારી ઉધાર આપવા માટે ઓર્થોરાઇઝ ન હોય. તેમણે સાથે એમ પણ કહ્યું કે, સુબ્રમણ્યમ સ્વામીએ જે દસ્તાવેજોની માંગ કરી છે એની આ કેસમાં કોઇ જરૂર જ નથી. સુબ્રમણ્યમ સ્વામીએ આ તમામ દલીલોનું ખંડન કરતા કહ્યું કે, કોર્ટે સમન મોકલ્યા બાદ બચાવ પક્ષ એવું કઇ રીતે કહી શકે કે મારી પાસે કોઇ કેસ જ નથી. એ લોકો જાણી જોઇને વધુ સમય લઇ રહ્યાં છે, જેને કારણે કેસની પ્રક્રિયા ધીરી ચાલે છે, પરંતુ એ લોકો બચી નહીં શકે.
સ્વામીએ 2012માં એક એપ્લિકેશન ફાઇલ કરી હતી, જેમાં તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે જમીનના સોદામાં દગાબાજીનું ષડયંત્ર કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ અખબારના માલિક એજેએલને વ્યાજ મુક્ત લોન આપી હતી, જે બાદમાં પાછી આપવામાં નહોતી આવી. આ ઇન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 269ટીનું ઉલ્લંઘન છે. કોર્ટે સ્વામીની આ અરજીને આધારે ઓગસ્ટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય 5 લોકો વિરુદ્ધ નોટિસ જાહેર કરી હતી.