હનીપ્રીતની પોલીસ રિમાન્ડ 3 દિવસ લંબાવાઇ
હરિયાણા પોલીસ પંચકુલા કોર્ટ સામે હનીપ્રીતને રજૂ કરવાની સાથે તેના પોલીસ ડિમાન્ડ એક્સટેન્ડ કરવાની વિનંતી કરે એવી શક્યતા છે.
બળાત્કારના કેસમાં રામ રહીમ દોષી સાબિત થયા બાદ હરિયાણા અને પંજાબમાં હિંસા ભડકાવવાનો આરોપ હનીપ્રીત પર છે. રામ રહીમ જેલમાં બંધ થયા બાદ હનીપ્રીત લગભગ 38 દિવસો સુધી ફરાર રહી હતી, આખરે પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. જો કે, અત્યાર સુધીમાં હનીપ્રીત સાથેની પૂછપરછમાંથી પોલીસને કોઇ ખાસ કડી હાથ નથી લાગી. આથી પંચકૂલા કોર્ટમાં હનીપ્રીતને રજૂ કરવમાં આવી હતી. જેમાં કોર્ટે હનીપ્રીતને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી છે. તે ઉપરાંત સુખદીપ કૌરને પણ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હનીપ્રીતના વ્યક્તિગત સચિવ રાકેશ અરોડાને પણ 14 દિવસ લિગલ કસ્ટડી પર મોકલવામાં આવ્યા છે.
પૂછપરછમાં નથી આપતી સહયોગ
પોલીસ હનીપ્રીતનું મોઢું ખોલાવવા માટે અન્ય આરોપીઓ સામે બેસાડી તેની પૂછપરછ કરે એવી શક્યતા છે. આ પહેલાં પોલીસે હનીપ્રીતને ડ્રાઇવર રાકેશની સામે બેસાડીને પૂછપરછ કરી હતી, જો કે એમાં પોલીસને ખાસ સફળતા નહોતી મળી. પોલીસ આ મામલે સુખદીપ કૌર સાથે પણ પૂછપરછ કરી ચૂકી છે. હનીપ્રીતની પૂછપરછ બાદ કમિશ્નર એસ.એસ.ચાવલાએ જણાવ્યું હતું કે, હનીપ્રીત પૂછપરછમાં બિલકુલ સહયોગ નથી આપી રહી, તે અમને ગોળ-ગોળ ફેરવે છે. પોલીસનો દાવો છે કે, અન્ય આરોપીઓની પૂછપરછમાં પંચકુલામાં થયેલ હિંસામાં હનીપ્રીતની સંડવોણી હોવાની વાત સામે આવી છે. આ મામલે પોલીસ દ્વારા અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.