દિલ્હીનું ફંડ કાપીને તાલીબાનને આપવુ કેટલુ યોગ્ય?-કેજરીવાલ
બજેટમાં સરકારે અફઘાનિસ્તાને મદદ કરવાની જાહેરાત કરતા કેજરીવાલે કેન્દ્રની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે ટ્વિટ કરીને સરકાર પર પ્રહારો કર્યા છે.
નવી દિલ્હી : ભારત સરકારના 2023-24 ના બજેટમાં અફઘાનિસ્તાનને આર્થિક મદદ કરવા માટેની જાહેરાત પર આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભડક્યા છે. કેજરીવાલે તાલિબાન સરકારને મદદ કરવાના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.
કેજરીવાલે ટ્વિટ કરીને સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું આપણા દેશમાં શિક્ષણ, આરોગ્ય અને દિલ્હીના ફંડમાં કાપ મૂકીને તાલિબાનને ફંડ આપવું યોગ્ય છે? લોકો આનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન માટે 25 મિલિયન ડોલરનો એટલે કે 200 કરોડ રૂપિયાના વિકાસ સહાય પેકેજની દરખાસ્ત કરી છે.
બજેટમાં કેન્દ્રીય નાણામંત્રીએ અફઘાનિસ્તાનના વિકાસ માટે 200 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે બીજી વખત આર્થિક મદદ કરી છે. એએનઆઈના અહેવાલ અનુસાર, ગયા બજેટમાં પણ મદદની જાહેરાત કરવામાં આવી હતી.
अपने देश में शिक्षा, स्वास्थ्य और दिल्ली का फंड काट कर तालिबान को फंड देना क्या सही है? लोग इसका सख़्त विरोध कर रहे हैं। https://t.co/9vBPyUNNKz
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 4, 2023
આ મુદ્દે તાલિબાનની નેગોસિએશન ટીમના સભ્ય સુહેલ શાહીન પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે ભારતની આર્થિક મદદની પ્રશંસા કરીએ છીએ. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં અને વિશ્વાસ વધારવામાં મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ માટે ફંડિંગ કરી રહ્યું છે. જો ભારત આ ચાલુ રાખશે તો બંને દેશો વચ્ચે સંબંધો સુધરશે.