તેજસ્વીએ મોદીને માર્યું મેણું, 2 કરોડ લોકો પકોડા તળશે તો ખાશે કોણ?
તેજસ્વીએ મોદીને મેણું મારતા કહ્યું કે 2 કરોડ લોકો પકોડા તળશે તો ખાશે કોણ
નવી દિલ્હીઃ પકોડા વેચવા પણ એક પ્રકારની રોજગારી જ કહેવાય, પીએમ મોદીના આવાં સૂચનને પગલે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ પ્રસાદ યાદવના વારસદાર તેજસ્વી યાદવે ચિંતા વ્યક્ત કરી છે અને એનડીએ સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે પીએમ મોદી તેમના વચનો પૂરાં કરવામાં નિષ્ફળ રહ્યા. જણાવી દઈએ કે ભ્રષ્ટાચારના કેસમાં લાલુ પ્રસાદ યાદવ જેલમાં બંધ હોય 28 વર્ષના નેતા તેજસ્વી યાદવ જ આરજેડીની આગેવાની કરી રહ્યા છે. દરેક નાગરિકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે, કાળુ નાણું પરત આવશે અને રોજગાર પૂરું પાડશે વગેરે જેવા સરકારના વચન પર તેસ્વી યાદવે સવાલ ઉઠાવ્યા.
તેજસ્વી યાદવે કહ્યું કે, "મોદીજીએ વચન આપ્યું હતું કે દર વર્ષે 2 કરોડ રોજગાર ઉભું કરશે પણ હવે તેઓ કહી રહ્યા છે કે પકોડા તળીને વેચો. ઓકે, તેના માટે અમે તૈયાર છીએ પણ શું તમે 15 લાખ આપવાનો વાયદો કર્યો હતો તેમાંથી ઓછામાં ઓછા 1-2 લાખ રૂપિયા તો આપશોને જેથી કરીને અમે પકોડાના થેલા લગાવી શકીએ." તેજસ્વીએ કહ્યું કે, અહીં સવાલ એ છે કે જો 2 કરોડ લોકો પકોડા તળશે તો ખાશે કોણ?
અમિત શાહના નિવેદન પર પણ તેજસ્વીએ કટાક્ષ કર્યો. અમિત શાહે અગાઉ કહ્યું હતું કે ભારતમાં ઓછામાં ઓછા 50 વર્ષ સુધી ભાજપ રાજ કરશે, જેના પર જવાબ આપતાં તેજસ્વી યાદવે કહ્યું કે બની શકે કે હવે ક્યારેય દેશમાં ચૂંટણી નહીં થાય. કહ્યું કે "તેઓ અનામત હટાવવા માગે છે. જો મોદીજી ફરી ચૂંટાઈ આવે તો પછી ક્યારેય દેશમાં ચૂંટણી જ નહિ થાય તે શક્ય છે." ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આરોપ લગાવતા તેજસ્વીએ કહ્યું કે પોતાના પિત લાલુ પ્રસાદ યાદવને તેમણે દગો આપ્યો. તેજસ્વી વિરુદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યાના થોડા દિવસ બાદ જુલાઈ 2017માં નીતિશ કુમારે ગઠબંધન તોડી નાખ્યું હતું, અને ભાજપ સાથે મળીને સરકારની રચના કરી હતી.
તેજસ્વીએ કહ્યું કે, "ભાજપ સાથે ગઠબંધન કરવાની પોતાની ભૂલ નીતિશજી સમજી ગયા હશે તેમ અમને લાગ્યું અને તેથી જ અમે તેમને સપોર્ટ આપ્યો પણ તેઓ પાછા પલટી મારી ગયા." આગળ વધતાં તેમણે કહ્યું કે હવે આરજેડી ભવિષ્યમાં ક્યારેય જેડીયૂ સાથે ગઠબંધન નહિ કરે. 4 વર્ષમાં ચાર સરકાર આપે અને લોકો કરતા પોતાની ખુરશી વહાલી હોય તેવા વ્યક્તિને અમે ફરી સપોર્ટ ન કરી શકીએ. પ્રશાંત કિશોરે જેડીયૂ જોઈન કરવા બાબતે તેજસ્વીએ કહ્યું કે મને એમાં કંઈ વાંધો નથી, હું તેમને આવકારું છું અને બીજા લોકો પણ પોલિટિક્સમાં જોડાય તો પણ કશું વાંધો નહિ.
આ પણ વાંચો- લો બોલો, પરીક્ષામાં પુછાયો સવાલ- હાર્દિકને પાણી કોણે પાયું?