લો બોલો, પરીક્ષામાં પુછાયો સવાલ- હાર્દિકને પાણી કોણે પાયું?
બોલો, પરીક્ષામાં પુછાયો સવાલ- હાર્દિકને પાણી કોણે પાયું?
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે તાજેતરમાં જ 19 દિવસના ઉપવાસ કર્યા હતા. આ નાટકીય ઉપવાસ તો પૂરા થઈ ગયા પણ તેની અસર પરીક્ષામાં પણ જોવા મળી. ગાંધીનગર નગરપાલિકામાં ક્લાર્કની પોસ્ટ માટે રવિવારે પરીક્ષા લેવામાં આવી હતી. જો કે આ પરીક્ષામાં પૂછાયેલ સવાલથી સૌકોઈ અચરજ પામ્યા. આ પરીક્ષામાં હાર્દિક પટેલ સંબંધી પ્રશ્ન પૂછાયો હતો.
પરીક્ષામાં પૂછાયો સવાલ
19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક પટેલે ગત બુધવારે પારણાં કરી લીધાં હતાં. પાટીદારોને અનામત, ખેડૂતોનું દેવું માફી અને રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગણીને લઈને હાર્દિક પટેલે આ ઉપવાસ કર્યા હતા. પરીક્ષામાં પુછાયેલ સવાલ હાર્દિકની ભૂખહડતાળ સંબંધી હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે ભૂખહડતાળ પર બેઠેલ હાર્દિક પટેલને પાણી કોણે પાયું હતું? જેમાં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા, 1) શરદ યાદવ, 2) શત્રુઘ્ન સિંહા, 3) લાલુ પ્રસાદ યાદવ, 4) વિજય રૂપાણી.
કોણ કોણ મળવા આવ્યા હતા હાર્દિકને
આ પ્રશ્નનો સાચો જવાબ છે પૂર્વ યૂનિયન મંત્રી અને જેડી(યૂ)ના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ. 25 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી હાર્દિક પટેલ ઉપવાસ પર હતો. ઉપવાસના 14મા દિવસે એટલે કે 7મી સપ્ટેમ્બરે હાર્દિક પટેલની તબિયત લથડતા તેને સોલા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જેના બીજા દિવસે હોસ્પિટલમાં શરદ યાદવે હાર્દિક પટેલને પાણી પાયું હતું. 9મી સપ્ટેમ્બરે હોસ્પિટલેથી રજા મળ્યા બાદ હાર્દિક પટેલે ઉપવાસ ચાલુ રાખ્યા હતા અને 12 સપ્ટેમ્બર સુધી તેણે ભૂખહડતાળ કરી હતી. હાર્દિક પટેલની ભૂખહડતાળ દરમિયાન કેટલાય રાજકિય નેતાઓ તેને મળવા આવ્યા હતા. જેમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ મંત્રી યશવંત સિન્હાનો પણ સમાવેશ થાય છે. જેમણે હાર્દિક પટેલને સમર્થન પણ આપ્યુ્ં હતું.
જાણો મેયરે શું જવાબ આપ્યો
કયા આધારે હાર્દિક પટેલનો આવો પ્રશ્ન પેપરમાં પૂછાયો તે અંગે ગાંધીનગરના મેયર પ્રવિણભાઈ પટેલને પૂછવમા આવતાં તેમણે કહ્યું કે , આ અંગે તેમને કંઈ જ ખ્યાલ નથી. તેમણે કહ્યું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરીક્ષા પ્રક્રિયાનો ભાગ ન હતા. તેમણે કહ્યું કે, 'પરીક્ષા લેવાની જવાબદારી ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીની હતી.' ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની માગણીને પગલે સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ.
સરકારને છંછેડવા હાર્દિક બાદ હવે એસપીજી આવ્યું મેદાને, આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા જાહેર