ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક
ગુજરાત સરકારે રાજ્યની છ મુખ્ય મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં હવે સનદી અધિકારીઓ વહીવટ સંભાળશે.
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતા અને નવી બેઠકોના સીમાંકનની પ્રક્રિયા ચાલુ હોવાથી ચૂંટણીઓ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. જ્યાં સુધી નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી આ વહીવટદારો જ શહેરની જવાબદારી ઉઠાવશે.

અમદાવાદના વહીવટદાર તરીકે મુકેશ કુમાર અને વડોદરા માટે શાલિની અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. સુરતમાં મિલિન્દ તોરવણે અને ભાવનગરમાં હર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા છે.
રાજકોટમાં રેમ્યા મોહન અને જામનગરમાં આરતી કંવરને સત્તાવાર રીતે વહીવટની કમાન સોંપાઈ છે. આ તમામ અધિકારીઓ ભૂતકાળમાં જે-તે શહેરોમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી સ્થાનિક પ્રશ્નોથી સુપરિચિત છે.
વહીવટદારોની નિમણૂક થવાથી શહેરમાં વિકાસના કામો કે જનસુખાકારીની સેવાઓ પર કોઈ અસર પડશે નહીં. વહીવટદારો પાસે મેયર અને સ્થાયી સમિતિની સત્તાઓ હોવાથી તમામ સરકારી પ્રક્રિયાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આગામી એપ્રિલ અથવા મે મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. આ સંભાવનાઓને જોતા તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં ફેરફાર અને બેઠકોનો દોર વધાર્યો છે. વિરોધ પક્ષો દ્વારા પાયાના કાર્યકરો સાથે સીધો સંપર્ક સાધીને તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ જીતવા માટે ખાસ 7 અલગ-અલગ સમિતિઓની રચના કરી છે. પક્ષ દ્વારા જીતી શકે તેવા મજબૂત ઉમેદવારોની પસંદગી માટે અત્યારે આંતરિક સ્તરે અભિપ્રાય લેવાની કામગીરી ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
