IIT JEE પરિણામ જાહેર, વિદ્યાર્થીઓને 11 માર્ક્સનું બોનસ
આઇઆઇટી જેઇઇ પરીક્ષાના પરિણામો જાહેર થઇ ચૂક્યાં છે અને ત્રણ અસ્પષ્ટ સવાલો બદલ વિદ્યાર્થીને 11 બોનસ ગુણ આપવામાં આવ્યા છે.
આઇઆઇટી જોઇન્ટ એન્ટ્રસ એક્ઝામ એટલે કે JEE 2017નું પરિણામ જાહેર થઇ ગયું છે. પરિણામ જાહેર થતાંની સાથે જ આ વખતે આઇઆઇટી એડવાન્સમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 11 ગુણ બોનસમાં આપવામાં આવ્યા છે. 21 મેના રોજ યોજાયેલ આઇઆઇટી જેઇઇ એડવાન્સ પરીક્ષામાં 3 એવા સવાલો પૂછવામાં આવ્યા હતા, જે અસ્પષ્ટ હતા અને એને કારણે વિદ્યાર્થીઓને ખૂબ હેરાનગતિ ભોગવવી પડી હતી. 3માંથી 2 સવાલો ગણિત અને એક સવાલ ફિઝિક્સનો હતો. પરિણામ જાહેર થતાંની સાથે આ અસ્પષ્ટ સવાલે માટે વિદ્યાર્થીઓને 11 ગુણ બોનસમાં આપવામાં આવ્યા છે.
આ અસ્પષ્ટ સવાલો અંગે વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ આઇઆઇટી એ 21 મેના રોજ યોજાયેલ જેઇઇ એડવાન્સ પેપરનું ઇન્ટરનલ રિવ્યૂ કર્યો હતો, જેમાં આ ત્રણેય સવાલો અસ્પષ્ટ હોવાનું બહાર આવતાં પરીક્ષાર્થીઓને બેનસ ગુણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલી વાર નથી, જ્યારે આઇઆઇટીના વિદ્યાર્થીઓને બોનસ ગુણ આપવામાં આવ્યા હોય. વર્ષ 2016માં પણ વિદ્યાર્થીઓને 3 સવાલો માટે બોનસ ગુણ આપવામાં આવ્યા હતા અને વર્ષ 2015માં એખ સવાલ માટે બોનસ ગુણ આપવામાં આવ્યા હતા. ગત વર્ષે આઇઆઇટી દ્વારા જાહેર કરવામાં આવેલ નવા નિયમોનુસાર, એવા સવાલો જેના એકથી વધુ સાચા જવાબ હોય, તેમાં જો વિદ્યાર્થીએ ખોટો જવાબ પસંદ ન કર્યો હોય, તો તેમને 1 બોનસ ગુણ આપવામાં આવે છે.