બિલ્કિસ બાનોના અપરાધીઓને મુક્ત કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ મોકલી!
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં બિલ્કિસ બાનોના કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી શરૂ થઈ છે. એડવોકેટ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાની બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી.
દિલ્હી : ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં બિલ્કિસ બાનોના કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી શરૂ થઈ છે. એડવોકેટ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાની બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા રમખાણો દરમિયાન 14 લોકોની હત્યા અને મહિલાઓ પર સામૂહિક બળાત્કારના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા 11 લોકોને નિર્દોષ જાહેર કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્રને નોટિસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.
મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
અગાઉ ગુજરાત સરકારે કહ્યું હતું કે, ગુજરાતમાં 2002ના રમખાણોના બિલ્કિસ બાનો કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને 2008માં દોષિત ઠેરવવામાં આવ્યા તે સમયે ગુજરાતમાં પ્રવર્તતી માફી નીતિ હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે. આ માહિતી ગુજરાત સરકારના ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ 16 ઓગસ્ટે આપી હતી. તેમણે આ મામલે કેન્દ્ર સરકારના માર્ગદર્શિકાના ઉલ્લંઘનના દાવાને ફગાવી દીધા હતા.
2008માં આજીવન કેદની સજા ફટકારાઈ હતી
21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ 11 લોકોને બિલ્કિસ બાનોના પરિવારના સાત સભ્યોના બળાત્કાર અને હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી હતી. જ્યારે બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે તે 21 વર્ષની હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. માર્યા ગયેલાઓમાં તેની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી.
આરોપીઓને છોડાયા બાદ વિવાદ થયો હતો
આ વર્ષે જૂનમાં કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને કેદીઓને મુક્ત કરવા અંગે રાજ્યોને વિશેષ માર્ગદર્શિકા જારી કરી હતી. બળાત્કારના દોષિતો માટે અકાળે મુક્તિની કોઈ જોગવાઈ નહોતી. જો કે ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટે સરકારને રાજ્યની માફી નીતિના ભાગરૂપે આ 11 દોષિતોની અકાળે મુક્તિને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું, જે ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે અમલમાં હતો. કેસમાં તમામને દોષિત ઠેરવવામાં આવ્યા છે.