સ્વતંત્રતા દિવસઃ લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કયા પાંચ પ્રણ જણાવ્યા?
દેશના 76માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઐતિહાસિક ભાષણમાં દેશના આવનારા દિવસો માટે 'પાંચ પ્રણ'નો સંકલ્પ લીધો છે.
નવી દિલ્લીઃ દેશના 76માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઐતિહાસિક ભાષણમાં દેશના આવનારા દિવસો માટે 'પાંચ પ્રણ'નો સંકલ્પ લીધો છે. લાલ કિલ્લા પરથી 9મી વખત રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આજે આપણે દેશને આગળ વધારવા માટે પાંચ શપથ લેવાની જરૂર છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ભારતના વિકાસની 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ દેશવાસીઓ સમક્ષ મૂકી અને કહ્યુ કે આ બ્લુ પ્રિન્ટ ત્યારે જ સફળ થશે જ્યારે આપણે આ પાંચ વ્રત લઈશું. પીએમ મોદીએ કહ્યુ, "આવતા 25 વર્ષ સુધી આપણે આપણી શક્તિ, સંકલ્પો અને ક્ષમતાને 'પાંચ પ્રણ' પર કેન્દ્રિત કરવાની છે." આવો જાણીએ એ પાંચ પ્રણ કયા-કયા છે...
પીએમ મોદીએ કહ્યું કે, "આવતા 25 વર્ષ સુધી આપણે આપણી શક્તિ પંચ પ્રાણ પર કેન્દ્રિત કરવાની છે. 2047, જ્યારે આઝાદીના 100 વર્ષ થશે ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓના તમામ સપના સાકાર કરવાની જવાબદારી ઉપાડવાની રહેશે.
પીએમ મોદીએ ભારતના વિકાસ માટે દેશવાસીઓ પાસેથી 5 વચનો માંગ્યા છે. તે આ મુજબ છે...
1. વિકસિત ભારત- હવે દેશ એક મોટા સંકલ્પ સાથે ચાલશે અને તે મોટો સંકલ્પ એ વિકસિત ભારત છે.
2. ગુલામીના દરેક અંશથી મુક્તિ મેળવવાનો સંકલ્પ - જો મનની અંદર કોઈપણ ખૂણામાં ગુલામીનો એક પણ અંશ હશે તો આપણે તેમાંથી મુક્તિ મેળવવી પડશે.
3. વારસા પર ગર્વ- આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ કારણ કે આ એ જ વારસો છે જેણે ભારતને સુવર્ણકાળ આપ્યો.
4. એકતા અને એકજૂટતા - આપણે 130 કરોડ ભારતીયોમાં એકતાની જરૂર છે. ના કોઈ પોતાનુ, ના કોઈ પારકુ, એક ભારત અને શ્રેષ્ઠ ભારત માટેનુ આ વચન છે.
5. નાગરિકોની ફરજ- નાગરિકોની ફરજમાંથી પીએમ અને મુખ્યમંત્રી પણ બહાર નથી.
પીએમ મોદીએ કહ્યું કે અનુભવ કહે છે કે એકવાર આપણે બધા દૃઢ નિશ્ચય સાથે ચાલીએ નીકળીએ તો આપણે નિર્ધારિત લક્ષ્યોને પાર કરી લઈએ છીએ.