India covid update : છેલ્લા 24 કલાકમાં 19,968 નવા પોઝિટિવ કેસ અને 673 મૃત્યુ નોંધાયા
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે બંધ થઈ ગઈ છે, પરંતુ આજે રવિવારના રોજ (20 ફેબ્રુઆરી) મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી : ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે બંધ થઈ ગઈ છે, પરંતુ આજે રવિવારના રોજ (20 ફેબ્રુઆરી) મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારના રોજ (20 ફેબ્રુઆરી) ભારતમાં છેલ્લા 24 કલાકમાં 19 હજાર 968 નવા કેસ નોંધાયા છે.
આવા સમયે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 673 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન એક જ દિવસમાં 48,847 લોકો કોવિડ 19થી સાજા થયા છે. હાલમાં દેશમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 24 હજાર 187 છે. જે કુલ કોરોના સંક્રમિત કેસના 0.52 ટકા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 11 હજાર 903 લોકોના મોત થયા છે. દેશમાં રિકવરીની કુલ સંખ્યા 4,20,86,383 છે. આવા સમયે દેશમાં 175.37 કરોડ રસીના ડોઝ સ્થાપિત કરવામાં આવ્યા છે. કુલ રસીકરણનો આંકડો 1,75,37,22,697 છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં ગુરૂવારના રોજ કોવિડ 19ના 486 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 13 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1419 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 197, વડોદરામાં 101, રાજકોટમાં 20, સુરતમાં 32, ગાંધીનગરમાં 17 અને બનાસકાંઠામાં 20 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,887 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,03,508 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5790 છે.