લડાકુ વિમાનોની અછત ભારત માટે જોખમી : એરફોર્સ ચીફ
નવી દિલ્હી, 6 ઓક્ટોબર : આવનારા સમયમાં યુદ્ધ થાય તો ભારત માટે સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે. કારણ કે ભારતીય લશ્કરની હવાઇ પાંખ એટલે કે ઇન્ડિયન એર ફોર્સ યુદ્ધ વિમાનોની અછત ધરાવે છે. વળી આ અછત માટે કરવામાં આવેલો રૂપિયા 80 હજાર કરોડના ખર્ચે 126 ફાઈટર પ્લેન ખરીદવાનો સોદો ફરી ઘોંચમાં પડયો છે. તેની વિપરીત અસર હવાઇ દળ પર પડી શકે છે એમ હવાઈદળના વડા એન કે બ્રાઉને જણાવ્યું હતું.
શનિવારે એન્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે આગામી વર્ષો દરમિયાન વાયુદળને 300 નવા વિમાનોની જરૂર છે. હાલની સરકારના કાર્યકાળમાં 126 વિમાનોનો સોદો પૂર્ણ થાય તેવી શક્યતા ઓછી છે. સંરક્ષણ મંત્રાલયમાં સશસ્ત્ર દળો માટે ખરીદીનું કામ કરતા સંયુક્ત સચિવના આકસ્મિક મોતથી તમામ ખરીદદારીઓને ભારે આંચકો લાગ્યો છે. નવા સંયુક્ત સચિવ આવે અને તેઓ ડિલ્સને સમજે તો ત્રણ-ચાર મહિના સહેજેય લાગી જાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં વાયુદળ પાસે ફાઈટર પ્લેનની 42 સ્ક્વોર્ડ્ન હોવી જોઈએ એના બદલે માત્ર 34૪ સ્ક્વોર્ડન્સ જ છે. દરેક સ્ક્વોર્ડનમાં 18થી 20 ફાઈટર પ્લેન હોય. વર્ષ 2017 સુધીમાં 160 મિગ-21 વિમાનોને સેવાનિવૃત્ત કરવાના રહેશે. સંભાળના અભાવમાં 40% વિમાનો ખખડધજ જેવા છે.
વાયુદળના વડાએ કહ્યુ હતું કે ફ્રાન્સની ડૈસો રફાલ કંપની પાસેથી લઈને ભારતમાં ઉત્પાદનનું કામ કરનારી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે વાતચીત ચાલી રહી છે. ક્યાં સુધીમાં સોદો પાર પડી જશે એ કહેવું મુશ્કેલ છે. ચૂંટણીઓ આવી રહી છે, પરંતુ પ્રક્રિયાનો ભંગ ન થઈ શકે. તેમણે સ્વીકાર્યું હતું કે, જો સોદો મોડો થશે તો એક કે બે સ્ક્વોર્ડનની મુદ્દત વધારવી પડશે. ઉપરાંત સ્વદેશી વિમાન તેજસની મદદ લેવી પડશે.
જે વિમાનો ઉડવાને કાબેલ નથી રહ્યા તેની કિંમત 40 હજાર કરોડ સુધી આંકવામાં આવે છે. બ્રાઉને જણાવ્યું હતું કે ચીન તરફથી ઊભા થયેલા જોખમને પહોંચી વળવા માટે વાયુદળ તૈયાર છે. આ માટે વાયુદળ દ્વારા કયા-કયા પગલા લેવામાં આવી રહ્યા છે, તેની વિગતો તેમણે આપી હતી. ચીનની સરહદથી લગભગ 23 કિલોમીટર દુર આવેલા ન્યોમા એરબેઝને ફૂલફ્લેઝ્ડ એરબેઝમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વર્ષ 2010થી આ હવાઈપટ્ટીને સક્રિય કરવામાં આવી હતી. હવે તેને એરબેઝ બનાવવામાં આવશે, જેથી કરીને તમામ પ્રકારના વિમાનોનું અહીંથી સંચાલન થઈ શકે. કેબિનેટની સુરક્ષા અંગેની સમિતિ આ અંગે વિચાર કરશે. આ માટે રૂપિયા 2700 કરોડનો ખર્ચ કરાશે. ઉપરાંત આસામના તેજપુર તથા છબુઆમાં સુખોઈ વિમાનો તહેનાત કરવામાં આવ્યા છે. પૂર્વોત્તર રાજયોમાં ફોરવર્ડ ફ્રન્ટની સાત પટ્ટીઓ આગામી ત્રણ વર્ષમાં કામ કરતી શરૂ થઈ જશે.