મોદીને પીએમ ઉમેદવાર બનાવવાનો તખ્તો તૈયાર, આવતા અઠવાડિયે જાહેરાત
નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર : આરોપ-પ્રત્યારોપો, બગાવત, નિષ્કાસન અને કોણ જાણે કેટ-કેટલું થયું ભાજપમાં નરેન્દ્ર મોદીના નામે. મોદીના નામે નારાજગીથી માંડી બગાવત સુધીનો તબક્કો જોવામાં આવ્યો. ક્યારેક પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, તો ક્યારેક શિવરાજ સિંહ ચૌહાણ કટાક્ષ કરતાં દેખાયાં. એટલું જ નહીં, ભાજપે મોદી માટે પોતાની 17 વરસની મૈત્રી પણ તોડી નાંખી અને જેડીયૂથી જુદો પડી ગયો.
એક નરેન્દ્ર મોદીના નામે ભાજપ આટલું બધું કુર્બાન કરવા તૈયાર થઈ ગયો હોય, તો હવે એ સમય આવી જ ગયો છે કે જેના માટે આટલી બધી કુર્બાની આપવામાં આવી છે. ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો તખ્તો તૈયાર કરી નાંખ્યો છે. પક્ષ પ્રમુખ રાજનાથ સિંહ ટુંકમાં જ નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરનાર છે.
રાજનાથે સંઘ પ્રમુખ મોહન ભાગવતને સંકેતો આપી દીધાં છે કે તેઓ આવતા અઠવાડિયે જ નરેન્દ્ર મોદીને ભાજપના પીએમ પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. નરેન્દ્ર મોદીની તાજપોશી માટે ભાજપ તૈયાર છે. નરેન્દ્ર મોદી અંગે સર્વસમ્મતિ બનાવવાના ઉદ્દેશથી જાહેરાત અંગે વિલમ્બ કરનાર રાજનાથ સિંહ હવે પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓના વાંધા છતા આ મુદ્દે આગળ વધવા તૈયાર છે.
નોંધનીય છે કે લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજ હાલ મોદીના નામની જાહેરાત કરવાના પક્ષમાં નથી, પરંતુ રાજનાથ સિંહ અને સંઘ બંને આ મુદ્દે આગળ વધવા તૈયાર છે.