Indigo crisis : ઈન્ડિગોની ફ્લાઈટો સતત રદ થતા દેશભરમાં હંગામાનો માહોલ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ચોથા દિવસે પણ ગંભીર સંચાલન વિક્ષેપોનો સામનો કરી રહી છે. શુક્રવારે દિલ્હી સહિત દેશભરના એરપોર્ટ્સ પરથી ઓછામાં ઓછી 550 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. જેના કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ અને મુસાફરોએ અસુવિધા તેમજ સામાન ગુમ થવાની ફરિયાદો કરી છે.

ગુરુવારથી શરૂ થયેલ આ સંકટમાં 550થી વધુ સ્થાનિક-આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થઈ. દિલ્હી પર 135 પ્રસ્થાન, 90 આગમન અને બેંગલુરુથી 102, હૈદરાબાદથી 92 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. આમ છેલ્લા ચાર દિવસમાં 1,000થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે.
મુંબઈ એરપોર્ટથી કુલ 104 ફ્લાઇટ્સ (53 પ્રસ્થાન, 51 આગમન) રદ કરાઈ. અમદાવાદ એરપોર્ટ પર પણ ઇન્ડિગોની ઘણી સેવાઓ રદ થતાં હજારો મુસાફરો અટવાઈ પડ્યા. કલાકો મોડી ચાલતી ફ્લાઇટ્સને લીધે એરપોર્ટ્સ પર ભારે ભીડ અને હોબાળો જોવા મળ્યો છે.
સતત ઓપરેશનલ મુશ્કેલીઓથી ઇન્ડિગોના મુસાફરો ભારે નારાજ છે. તેઓ એરપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. ગુરુવારે 550 ફ્લાઇટ્સ રદ થતા તેનું સમયપાલન પ્રદર્શન ઘટીને માત્ર 19.7 ટકા નોંધાયું હતું.
આજે 5 ડિસેમ્બરના રોજ ઇન્ડિગોને દેશભરમાં 600થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી, જે આ વિક્ષેપોનો નવો વિક્રમ છે. આનાથી મુસાફરોની અગવડતામાં અનેકગણો વધારો થયો. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં તેની વ્યાપક અસર વર્તાઈ છે.
રદ થયેલી ફ્લાઇટ્સમાં દિલ્હી (225), મુંબઈ (104), બેંગલુરુ (102), હૈદરાબાદ (92), ચેન્નાઈ (31), પુણે (22) અને શ્રીનગર (10) મુખ્ય છે. આ સમસ્યાના ઉકેલ માટે હજુ અમુક દિવસો લાગી શકે છે, જેથી પ્રવાસીઓની હાલાકી યથાવત્ રહેવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
