For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive : ‘મોદી’ બન્યા ‘માચડો’?

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 ફેબ્રુઆરી : શું થઈ ગયું જો અફઝલ ગુરૂને ફાંસીએ લટકાવી દેવાયો? તેની ફાંસી ઉપર પહેલી મહોર તો સુપ્રીમ કોર્ટે મારી જ દીધી હતી, તો બીજી મહોર ગત 21મી નવેમ્બરના રોજે લાગી, જ્યારે અજમલ કસાબને ફાંસી અપાઈ હતી. રાષ્ટ્રપતિએ તો ત્રીજી મહોર લગાવી. તો શું થઈ ગયું જો અફઝલ ગુરૂને 12 વર્ષે ફાંસીના માચડે લટકાવાયો? દેશની લોકશાહીના મંદિર ઉપર હુમલા કરવાના ગુનેગાર આતંકવાદીને ફાંસીએ લટકાવી દેવો એક ખૂબ જ મોટો બનાવ છે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ શું થઈ ગયું જો આટલા ગંભીર ગુનેગાર ઉપર એક દશકા સુધી રાજકારણ રમ્યા બાદ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો?

afzal-modi

આપ વિચારતાં હશો કે હું ‘શું થઈ ગયું?' શબ્દ વારંવાર કેમ દોહરાવુ છું. કારણ છે તેની પાછળ. તે જ રાજકારણ છે તેની પાછળનું કારણ. એક દશકા સુધી વગર કારણે કોઇકના ફાયદા, તો કોઈના નુકસાનનું મહોરું બની રહેલ અફઝલ ગુરૂ આજે ફાંસીના માચડે ઝૂલ્યા બાદ પણ રાજકીય શેરીઓમાં ફાયદા અને નુકસાનના ત્રાજવે તોળાઈ રહ્યો છે.

આ શંકા કે ભય અકારણે નથી. તેનું બીજ તો 21મી નવેમ્બર, 2012ના રોજે જ રોપાઈ ગયુ હતું કે જ્યારે એક બાજુ ગુજરાત... નહીં... નહીં... નરેન્દ્ર મોદી જેવા મહત્વના રાજનેતાનું રાજકીય ભાવિ નક્કી કરનાર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમ હતો, તો બીજી બાજુ કેન્દ્ર સરકારે મતદાનથી માત્ર વીસ દિવસ પહેલા જ મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ કસાબને ફાંસીએ લટકાવી દેવાયો. કહી શકાય કે તે વખતે પણ અજમલ કસાબની ફાંસીને ગુજરાતની ચૂંટણીઓ સાથે સાંકળીને જોવાઈ હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ બાદશાહ સામે અફઝલ ગુરૂને હુકમનો એક્કો બનાવ્યો. જો એમ માની લઇએ કે કોંગ્રેસ આ બાદશાહ વડે નરેન્દ્ર મોદીના વાવાઝોડાને ગુજરાતમાં રોકવાની ઇચ્છા પાળતી હતી, તો તે પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે કોંગ્રેસ પોતાની આ ચાલમાં સફળ થઈ શકી નથી.

ગુજરાતની પ્રજાએ યાદદાશ્તના બેવડા ધોરણો પ્રમાણિત કર્યાં. પ્રથમ તો એ કે પ્રજા ઘણું બધું ખૂબ જલ્દી ભુલી જાય છે અને બીજું એ કે પ્રજાના મનમાં અનેક મુદ્દા એવા હોય છે કે જે ઉંડાણ સુધી ધરબાઈ ચુકેલા હોય છે. શક્યતઃ આ જ કારણ હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોદી જ મુદ્દો હતાં અને મોદી જ જીત્યાં પણ. ઠીક છે, એક દિવસ કે બે દિવસ કે પછી થોડાંક દિવસ માટે મીડિયામાં છવાયેલ મોદીનું સ્થાન કસાબે લઈ લીધું, પરંતુ પ્રજાના હૃદયમાં મોદીની અમિટ છાપ જળવાઈ રહી. કસાબ ગાયબ થયો અને મોદી ફરી હાવી થઈ ગયાં તથા જીતી પણ ગયાં.

ખેર, આ તો થઈ અજમલ કસાબની વાત. આજે તો અફઝલ ગુરૂનો દિવસ છે. છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચાની ધરી બનેલ નરેન્દ્ર મોદી આજે અચાનક મીડિયા અને ટીવી ન્યુઝ ચૅનલોના પડદેથી ગાયબ થઈ ગયાં. જોકે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન મોદી એક જ વાર બોલ્યાં, તે પણ દિલ્હીની શ્રી રામ કૉમર્સ કૉલેજમાં. બાકી જેટલીય વાર તેમનું નામ કે તસવીરો ન્યુઝ ચૅનલો પર દેખાયાં, તે માત્ર પ્રતીકાત્મક જ હતાં, કારણ કે મોદી પોતે કંઈ કહેતાં નહોતાં, પણ એક મુદ્દા તરીકે ચર્ચામાં છવાયેલા હતાં.

અને આજે સવારે મોદીના સ્થાને તેમનો તે જ હુકમનો એક્કો મીડિયામાં છવાયો હતો કે જે તેમણે વિધાનસભા ચૂંટણીમાં ફેંક્યો હતો. ખેર, પહેલી નજરે જોતાં એમ જ લાગતુ હતું કે કેન્દ્ર સરકારે આ કામ એકદમથી એક ઑપરેશનની જેમ અને પુરતી ગુપ્તતા સાથે કર્યું. જાણે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવા જેવી બાબત હોય, પરંતુ દૂરદર્શિતાપૂર્વક જોઇએ, તો આ બધુ અચાનક થવા જેવી બાબત નથી લાગતી.

જે રીતે છેલ્લા એક અઠવાડિયાથી મીડિયામાં નરેન્દ્ર મોદી છવાયેલા હતાં, તેનાથી તેમની લોકપ્રિયતા તેમજ સ્વીકાર્યતાનો ગ્રાફ સતત વધતો જતો હતો. એમ પણ મોદીના રાજકીય જીવન અને સફળતાનુ મહત્વનું પાસુ જ તેમનું ચર્ચામાં રહેવું રહ્યું છે. પછી તે ચર્ચા નકારાત્મક હોય કે હકારાત્મક. અને આ વખતે તો દિલ્હીથી લઈ કુંભ મેળા સુધી મોદી જ મોદીની ગૂંજ હતી. દરેક ન્યુઝ ચૅનલ જાણે મોદી અંગેના સમાચારો બતાવવા આતુર હતી. સંઘ, વિશ્વ હિન્દૂ પરિષદ્, કુંભ, હિન્દુત્વ, પ્રવીણ તોગડિયા, અશોક સિંઘલ જેવા લોકો મીડિયામાં એવી રીતે છવાઈ ગયા હતાં, જાણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દેશના રાજકારણમાં કોઈ મહત્વ જ ન ધરાવતા હોય. જ્યારે આ ત્રણેય હાલ દેશની સત્તાના ત્રણ મહત્વના કેન્દ્રો છે.

આ પ્રકારની પરિસ્થતિઓ પેદા થઈ કે ટેકેદારો માટે મોદી મંત્ર બનતા જતા હતાં, તો વિરોધીઓ ખાસ તો ગુજરાતમાં સતત દાઝતી રહેલી કોંગ્રેસ માટે મોદી એક ફોબિયા બનતા જતા હતાં. મોદીના વધતા પગલાં અને તેમના પક્ષે-વિપક્ષે ચાલતી ચર્ચાઓનું વાવાઝોડું રોકવાની કોઈ યુક્તિ તો વિચારવી જ હતી. કદાચ એટલે જ અચાનક કોંગ્રેસને અજમલ બાદ અફઝલની યાદ આવી ગઈ અને અફઝલ કે જેનો અંજામ આજે નહીં તો કાલે આ જ થવાનો હતો, તેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો અને આખું મીડિયા પોતાનું વલણ બદલવા મજબૂર થઈ ગયું.

આ તમામ ચર્ચાનો અર્થ એમ નથી નિકળતું કે ગુજરાતમાં કોંગ્રેસના ગળાનું હાડકું બનેલા મોદીનું ફોબિયા એક બાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ અજમલ કસાબ માટે માચડો બન્યું, તો બીજી બાજુ લોકસભા ચૂંટણી અગાઉ ઝડપથી વધતું આ મોદી ફોબિયા હવે અફઝલ ગુરૂ માટે પણ માચડો સાબિત થયો? ભાઈ, આ તારણ માત્ર મારૂં જ નહીં, પણ આજે મોદીના ટેકેદારો તરફથી ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં કરાઈ રહેલી કૉમેન્ટ્સ તેમજ પોસ્ટ્સ પણ કંઈક આવું જ તારણ વ્યક્ત કરી રહી છે.

આપનો શો અભિપ્રાય છે? કૉમેન્ટ બૉક્સમાં લખો.

English summary
UPA government took quick decision on Afzal Guru's hanging, just because of 'Narendra Modi phobia'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X