તો કોંગ્રેસમાં સામેલ થવાની તૈયારીમાં છે પ્રશાંત કિશોર? રાહુલ ગાંધીએ નેતાઓના મંતવ્ય માંગ્યા
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ સંદર્ભે રાહુલ ગાંધીએ તાજેતરમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ સંદર્ભે રાહુલ ગાંધીએ તાજેતરમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં મોટાભાગના નેતાઓ માને છે કે પ્રશાંત કિશોરના આગમનથી કોંગ્રેસને ફાયદો થશે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ 22 મી જુલાઈએ બેઠક બોલાવી હતી અને તેનો મુખ્ય હેતુ પ્રશાંત કિશોરને પાર્ટીમાં જોડાવા, પક્ષમાં તેમની ભુમિકા અને તેના પક્ષમાં જોડાવાથી પાર્ટીને થતા નફા નુકસાનની ચર્ચા કરવાનો હતો. રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એકે એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, કમલનાથ, અંબિકા સોની, હરીશ રાવત, કેસી વેણુગોપાલ અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા.
સૂત્રો મુજબ બેઠકમાં ઉપસ્થિત મોટાભાગના નેતાઓ સંમત થયા હતા કે પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાથી પક્ષને ફાયદો થશે. રાહુલ ગાંધીના વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની આ બેઠક પૂર્વે પ્રશાંત કિશોરે 13 જુલાઈએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા પણ હાજર હતા. આ બેઠક બાદથી પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. કોંગ્રેસના સૂત્રો કહે છે કે, પ્રશાંત કિશોરને પાર્ટીમાં જોડાવાની દરખાસ્ત છે. જો કે, પ્રશાંત કિશોર તરફથી કંઇ કહેવામાં આવ્યું નથી અને કોંગ્રેસે પણ આ વિશે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા કહ્યું કે, "પ્રશાંત કિશોરે જાહેરમાં કહ્યું છે કે કોંગ્રેસ વિના રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી મોરચો નહીં બની શકે. જો તે કોંગ્રેસમાં જોડાશે તો તેનો ફાયદો પાર્ટીને થશે. આવી સ્થિતિમાં તેની ભૂમિકા શું હશે, તે નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડને લેવાનો છે. ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે હવે તે ચૂંટણી વ્યૂહરચનાકારની ભૂમિકાથી છૂટકારો મેળવશે. ત્યારથી ફરી એકવાર તેઓ સક્રિય રાજકારણમાં આવે તેવી સંભાવના છે. આ પહેલા તે જનતા દળ (યુ) માં જોડાયા હતા, જો કે પછીથી તેમને ખુદને અલગ કર્યા હતા.