ઇશરત આતંકવાદી હતી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સ્વીકાર
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે ઇશરત સાથે અથડામણમાં માર્યો ગયેલ જાવેદ શેખ હકીકતમાં ડબલ એજન્ટ હતો. જે ત્રાસવાદીઓને દરેક હિલચાલની માહિતી આઇબીને આપતો હતો. નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે ગુજરાત હાઇકોર્ટમાં સોંપેલા બીજા સોગંદનામામાં ઇશરત અને તેના સાથીઓ આતંકવાદી હોવાના કોઇ નક્કર પુરાવાઓ ન હોવાનો દાવો કર્યો હતો.
આ દાવા પછી કોર્ટે સીબીઆઇને તેની તપાસનો આદેશ આપ્યો હતો. અધિકારીનું હવે એવુ કહેવું છે કે જે મોદીને ફસાવવા માટે સોગંદનામુ બદલવામાં આવ્યુ હતુ તેઓ હવે પીએમ પદના દાવેદાર બની ચુકયા છે અને અધિકારી કારણ વગર રાજનીતિનો શિકાર બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 6 ઓગષ્ટ, 2009ના રોજ પોતાના પ્રથમ સોગંદનામામાં ઇશરત અને તેના સાથીઓને તોઇબાના આતંકવાદીઓ બતાવતા ગૃહ મંત્રાલયે અથડામણની તપાસ સીબીઆઇને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ તત્કાલિન ગૃહમંત્રી પી ચિદમ્બરમના દબાણમાં બે મહિનાની અંદર જ ગૃહ મંત્રાલયે સોગંદનામું બદલી નાખ્યું હતું. આથી ઇશરત અને તેના સાથીઓ ત્રાસવાદી ન હોવાનો દાવો થયો અને સીબીઆઇને તપાસ સોંપવાની વાતનું સમર્થન કર્યું હતું.