ધરતીના 'સ્વર્ગ' પર કુદરતી કહેર, વડાપ્રધાને મુલાકાત બાદ કરી જાહેરાતો
શ્રીનગર, 7 સપ્ટેમ્બર: 60 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં કુદરતે આટલી મોટી તારાજી સર્જી છે. અત્રે પૂર, વરસાદ અને વાદળ ફાટવા જેવી ઘટના એકસાથે ઘટવાથી લગભગ 107 લોકોના મોત થયા છે. ત્યારબાદ વડાપ્રધાન સમગ્ર સ્થિતિનો અહેવાલ મેળવવા જમ્મુ પહોંચી ગયા. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું. ત્યારબાદ વડાપ્રધાને પરિસ્થિતિ પર ચર્ચા માટે રિવ્યૂ મીટિંગ કરી. નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલી સમગ્ર તારાજીનો ચિતાર હવાઇ યાત્રા કરીને મેળવ્યો.
હાલમાં પણ રાજ્યની તમામ નદીઓ ઉચ્ચ સ્તર પર વહી રહી છે. ઝેલમનું જળસ્તર 12 ફૂટ સુધી પહોંચી ગયું છે. રાજ્યના પ્રવાસન મંત્રી પણ અનંતનાગમાં પોતાના ઘરમાં છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલા છે. હોટલ્સમાં પણ પાણી ભરાઇ ગયા છે. અત્રે ફરવા માટે આવેલા દેશ-વિદેશના પ્રવાસીઓ પણ ફસાઇ ગયા છે.
સાઉથ કાશ્મીરના સંગમ વિસ્તારમાં પાણીનું સ્તર વધી ગયું છે. કુર્સુરાજબાગ, જવાહરનગર, નતીપુરા, છાનપુરા, પીરબાગ, સોનવાર, પટવારા, હરિ સિંહ હાઇસ્ટ્રીટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. મહિલા હોસ્પિટલ લલદેથમાં એક ફ્લોર સુધી પાણી ઘુસી ગયું છે, મોડેલ હોસ્પિટલમાં પાણી ઘુસી ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરની મુલાકાત લીધી અને મીટીંગ કરી તથા સંપૂર્ણ મદદ માટેની જાહેરાતો કરી. મોદીએ મીડિયાને શું જણાવ્યું જુઓ તસવીરોમાં...

5000 ટેંટ લગાવવાનો આદેશ
જમ્મુ અને કાશ્મીરમાં આવેલા પૂરના કારણે સૌથી વધારે ઘરો નષ્ટ થયા છે, માટે તાત્કાલિક ધોરણે 5000 ટેંટ લગાવવાનો મેં આદેશ આપી દીધો છે.પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક ધોરણે 1 લાખ ધાબડા ખરીદવા જણાવી દેવામાં આવ્યું છે.

ઇંન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન
અત્રે ઇંન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. લેહ-લદ્દાખના લોકો આ મોસમ પહેલા ખોરાક અને અન્ય સામગ્રીની ખરીદી કરી લેતા હોય છે. પરંતુ ભારે પૂરના કારણે તેઓ પ્રાથમિક જરૂરીયાતની સામગ્રી મેળવી શક્યા નથી અને રસ્તાઓ ખરાબ થઇ ગયા. જે ખરેખર ખૂબ જ ભારે સમસ્યા છે.

મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા
નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

વીજળી, કમ્યુનીકેશનની સર્વિસ ખોરવાઇ
મોદીએ જણાવ્યું કે વીજળી, કમ્યુનીકેશનની સર્વિસ ખોરવાઇ ગઇ છે, જેને એન્જીનીયરોની મદદ લઇને તુરંત શરૂ કરવા જણાવાયું છે. આર્મીના જવાનોને પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે કામે લગાવાયા છે.

વધુ 1,000 કરોડની ફાળવણી
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત સરકાર તરફથી કાશ્મીરને આપાતકાલીન ફંડ માટે 1100 કરોડ ફાળવાયેલા છે, પરંતુ જે પ્રકારની તારાજી અહીં સર્જાયેલી છે તેના માટે આ ધનરાશિ પૂરતી નથી માટે ભારત સરકાર તરફથી કાશ્મીરને વધારે એક હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરું છું.

ભારત સરકાર સંપૂર્ણ પણે જમ્મુ-કાશ્મીરના લોકોની સાથે છે
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત સરકાર સંપૂર્ણ પણે જમ્મુ-કાશ્મીરના લોકોની સાથે છે, અને તેમને આ મુસિબતમાંથી બહાર લાવવા સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવશે.

દેશવાસીઓને પણ કાશ્મીરને મદદ કરવા માટે અપીલ કરી
નરેન્દ્ર મોદીએ આની સાથે દેશવાસીઓને પણ કાશ્મીરને મદદ કરવા માટે આહ્વાન કરતા જણાવ્યું કે દેશવાસીઓ પણ કાશ્મીરના લોકોની મદદ કરવા માટે જે કંઇ પણ કરી શકવા સક્ષમ હોય તો તે ચોક્કસ કરે.

પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢવાની કવાયદ
અહીં જે પ્રવાસીઓ ફસાયેલા છે તેમને પણ હેમખેમ બહાર કાઢવાની કવાયદ શરૂ કરી દેવામાં આવી છે.

પાકિસ્તાનને પણ મદદ કરવા માટે બતાવી તૈયારી
પાકિસ્તાનની હદમાં આવેલા કાશ્મીરમાં પણ આવી તારાજી સર્જાઇ છે તેમને પણ માનવીય દ્રષ્ટિથી ભારત સરકાર મદદ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાન ઇચ્છશે તો અમે તેમને પણ સંપૂર્ણ મદદ પહોંચાડવા સજ્જ છીએ.

સંકટ આપણું છે..
મોદીએ જણાવ્યું કે હું રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને રાજ્યના લોકોને કહેવા માંગીશ કે આ સંકટ માત્ર તમારું નથી આપણા સૌનું છે અને આપણે સાથે તેમાંથી બહાર આવવા પ્રયત્ન કરીશું.












Click it and Unblock the Notifications
